મોરબી : હોમ આઈસોલેશનનો ભંગ કરનાર વિરુદ્ધ એપેડમિક એકટનો ગુન્હો નોંધાશે

- text


જિલ્લા કલેક્ટરે કોરોના સંક્રમણની ચેઇન તોડવા કાર્યવાહીના આદેશ કર્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ જે રીતે વધી રહ્યું છે. તે જોતા જો વહેલી તકે તંત્ર એકશનમાં નહિ આવે તો સ્થિતિ બેકાબુ બની શકે છે. આ જ કારણોસર તંત્ર દ્વારા અલગ અલગ વિભાગને યુદ્ધના ધોરણે કામગીરી કરી કોરોના સંક્રમણની ચેઇન તોડવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે એક તરફ આરોગ્ય વિભાગની ટીમને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તો હોમ આઈસોલેશનનો ભંગ કરનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.

મોરબીમાં બેડની સંખ્યાને ધ્યાને રાખી જરૂરિયાત મંદ વ્યક્તિને ઝડપથી સારવાર મળી રહે તે માટે કોરોના સંક્રમિત દર્દીને પરિસ્થિતિ અનુકૂળ હોય તો હોમ આઇસોલેશનની પણ છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ હાલમાં હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સુચના આપી છે.

- text

જિલ્લા કલેક્ટર કચેરીમાં ગઇકાલે મળેલ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર દર્દીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એપેન્ડેમીક એક્ટ હેઠળ કડક હાથે કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યા છે. જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ પણ આ બેઠકમાં મોરબી જિલ્લામાં માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ દંડ વસુલાતની કાર્યવાહી વધુ સઘન બનાવવા સુચના આપી હતી. આ ઉપરાંત, માસ્ક ન પહેરનારનો RTPCR રિપોર્ટ આવે ત્યાં સુધી કોવીડ કેર સેન્ટરમાં રાખવા અંગે વિચારણા કરવા પણ નિર્દેશો આપ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ આરોગ્યલક્ષી કામગીરી વધુ સઘન બનાવવા તેમજ હોસ્પિટલોની સુવિધા અંગે પણ વિસ્તારપૂર્વક ચર્ચા હાથ ધરી હતી.

- text