લાલપર પીએસસીના મેડિકલ કર્મચારી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ : મિલનસાર સ્વભાવના અને આરોગ્યની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર આરોગ્ય કર્મચારીની અણધારી વિદાયથી સમગ્ર જિલ્લા આરોગ્ય શાખામાં ઘેરો શોક મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે.કોરોનાના કહેરથી સામન્ય લોકોથી માંડીને કોરોના સામે યોદ્ધાની જેમ લડત કોરોના વોરિયર્સ પણ બચી શક્યા નથી. ત્યારે મોરબીના લાલપર ગામના પીએચસીના મેડિકલ કર્મચારીને કોરોના થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મિલનસાર સ્વભાવના અને આરોગ્યની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આ આરોગ્ય કર્મચારીનું અણધારી વિદાયથી સમગ્ર જિલ્લા આરોગ્ય શાખામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. મોરબી જિલ્લામાં કોરોનાએ ભારે ઉત્પાત મચાવ્યો છે. કોરોનાના દરરોજ વધુને વધુ સામે આવતા કેસ વચ્ચે કોરોનાએ વધુ એક કોરોના વોરિયર્સનો ભોગ લીધો છે.જેમાં મોરબીના લાલપર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કૈલા ગત તા.4 ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા.આથી તેમને પ્રથમ મોરબીની હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે આ મેડિકલ કર્મચારીએ આરોગ્યની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. સરકારની તમામ આરોગ્ય લક્ષી યોજનાઓ અને સુવિધાઓને જનજન સુધી પહોંચાડીને આરોગ્યની ઉત્કૃઠ સેવાઓ આપી હતી. મિલનસાર સ્વભાવ ધરાવતા આ કર્મચારીની અણધારી વિદાયથી સમગ્ર જિલ્લા આરોગ્ય શાખામાં ભારે શોક વ્યાપી ગયો હતો પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચઢ્યા મોરબીમાં અગાઉ પણ કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ સ્ટાફ કોરોનાની ઝપટે ચઢ્યો હતો. ત્યારે વધુ પોલીસ સ્ટાફ કોરોનાની ઝપટે ચઢ્યો હોવાનો જાણવા મળ્યું છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમજ બી ડિવિજન પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ અને માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળે છે.એકંદરે મોરબીમાં હવે કોરોના ખતરનાક ઝોનમાં પહોંચી ગયો છે.