મોરબી : શહેરમાં પાયાની માળખાગત સુવિધાઓના અણધડ વહીવટને લઈને મોરબીવાસીઓની હાલત અત્યારે દયનિય બની છે. સ્વચ્છતા, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ સુવિધા જેવી માળખાગત સુવિધા માટે ઉસેટાતો કરોડો રૂપિયાનો ટેક્ષ ક્યાં સ્વાહા થઈ જાય છે એ પ્રશ્ન હંમેશા લોકોના મુખે ચર્ચાઈ રહ્યો છે. જન સુવિધા માટે ઉઘરાવતો ટેક્ષ લોકો માટે દુવિધા તો ઉભો કરી જ રહ્યો છે સાથો સાથ અસુવિધામાં પણ ધરખમ વધારો કરી રહ્યો છે. પાકા રોડ રસ્તા એ નાગરિકોની સલામતી માટે પાયાની જરૂરિયાત છે. ઔધોગિક ક્ષેત્રે અગ્રેસર રહેવા માટે પણ રોડ રસ્તા એ સૌથી મોટી પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવે છે. ત્યારે મોરબી શહેરમાં તંત્રને ના તો લોકોની સલામતીની પડી છે ના તો ઔધોગિક વિકાસની પડી છે. નેશનલ હાઇવે 8-Aથી ગાળા-શાપર જતા માર્ગને જોતા તો હાલ આવું જ પ્રતિત થઈ રહ્યું છે. નેશનલ હાઇવે 8-Aથી ગાળા-શાપર રોડને અત્યારે રોડ કહી શકાય એવી સ્થિતિ જ નથી. આશરે 6 માસ પૂર્વે ગાળાથી શાપર જતા 8.5 કિલોમીટરના માર્ગને વ્યવસ્થિત બનાવવા માટેનું કામ પાસ થઈ ગયું છે. જો કે પાસ થયેલું આ કામ માત્ર સરકારી ફાઈલો પૂરતું જ મર્યાદિત હોય એમ કામ શરૂ કરવામાં જ આવ્યું નથી. કરોડો રૂપિયાના મંજુર થયેલા આ કામનું મહુર્ત કેમ ન આવ્યું એવો તૌતેર મણનો સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. ચાલુ ચોમાસે રોડ રિપેરીંગનું કાર્ય શરૂ કરવા માટે આશરે પંદરેક દિવસ પહેલા કોઈ ખરાબ ચોઘડિયે મહુર્ત નીકળ્યું હોય એમ લગભગ 1.5 કિલોમીટરના ખોદકામ બાદ આગળનું કામ અધવચ્ચે રોકી દેવાતા આ માર્ગનો ઉપયોગ કરતા ગાળા, વાઘપર, પીપળી, પીલુડી, જેતપર સહિતના નાગરિકોની હાલાકી ઉલટી વધી ગઈ છે. આ રોડ પર અંદાજે દસેક જેટલા સીરામીક યુનિટો આવેલા છે. જ્યાં આવતું રૉ-મટીરીયલ, કોલસો, ગેસના ટેન્કર અને તૈયાર થઈને બહાર જતા માલ માટે આવાગમન કરવું અત્યંત હાડમારીભર્યું બન્યું છે. રસ્તો ખોદાઈ જતા રોજ અનેક માલવાહક વાહનો અહીં ખૂંપી જવાના બનાવો બને છે. આ સંજોગોમાં ફેકટરી માલિકોને સમયસર કાચો માલ, કોલસો કે ગેસ ન મળતા પારાવાર નુકશાની ભોગવવી પડતી હોવાનું સ્થાનિક ઉધોગકારે બળાપો વ્યક્ત કરતા મોરબી અપડેટને જણાવ્યું હતું. અધૂરા છોડી દેવાયેલા કામને કારણે આ રસ્તાની હાલત બદથી બદતર બની ગઈ છે. કોન્ટ્રાક્ટરે મોરમ, મેટલ જેવું રૉ-મટીરીયલ પાથરીને હંગામી ધોરણે રસ્તો સમથળ કરવાની દરકાર પણ ન કરતા અહીં મોટા પ્રમાણમાં જળ જમાવડો થયો હોય નાના-મોટા વાહનો અત્યંત ભયજનક સ્થિતિમાં રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે હજારો લોકોની સલામતી અને ઉધોગકારોને થતા નુકશાનને લઈને લાગતું વળગતું તંત્ર સત્વરે આ પીડાદાયક પરિસ્થિતિમાંથી છુટકારો અપાવે એવી લોક માંગણી પ્રબળ બની છે.