નર્મદા જિલ્લાના સાંજરોલી ગામ સ્થિત શિવ શક્તિધામ આશ્રમના મહંત ઘોષિત કરાયા માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના તરઘડી ગામના વતની સાવરીયા મહારાજને નર્મદા જિલ્લાના સાંજરોલી ગામ સ્થિત શિવ શક્તિધામ આશ્રમના મહંત ઘોષિત કરાયા છે. જેમણે અનેક વખત મોરબી-માળિયા વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અને તેઓ હંમેશા ચુંટણી પ્રચાર પગપાળા કરતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નર્મદા નદી પર આશ્રમ સ્થાપીને રહેતા હતા અને નર્મદાને માતા સમજી અનેક વખત પરિક્રમા કરેલ છે. નર્મદા મૈયાની અનેક વખત પરિક્રમા કરનાર નર્મદા પુત્ર તરીકે ઓળખાતાં સાવરીયા મહારાજને મહંત તરીકેની ઉપાધિ આપવામાં આવી છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખાતે સંજરોલી ગામમાં આવેલા શિવ શક્તિધામ આશ્રમ આવેલો છે. આ પ્રસંગે ચાદર વિધિ કરવા માટે મહામંડલેશ્વર હરિચરણદાસજી હરિધામ આશ્રમ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તેઓને તિલકવિધી પ્રકાશભાઈ તડવી, અશોકભાઈ તડવીએ કરી હતી. તેમજ આ તકે કોરોનાના કારણે એકદમ જૂજ લોકો જ સોસિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાંવરિયા મહારાજને નર્મદા પુત્ર તરીકે વધુ ઓળખવામાં આવે છે. કારણ કે તેઓએ પવિત્ર નર્મદા નદીની અનેક વખત પગપાળા તથા મોટર માર્ગે પણ તેમને અનેક વાર પરિક્રમા કરી છે. અને તેઓ નર્મદા મૈયાની ભક્તિમાં એવા લીન છે કે તેઓ ક્યારેય નર્મદા તટથી દુરના વિસ્તારમાં જતા નથી, માત્ર જરૂર હોય તો જ જાય છે. તેઓ દિવસમાં ત્રણ વાર કે સાત વાર અચૂક નર્મદા નદીમાં સ્નાન કરે છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય કોઈપણ ઋતુ હોય તેઓ નર્મદા નદીમાં સ્નાન કરે છે.