મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો સામે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકાના રાજપર રોડ પર આવેલ શક્તિ એન્જીનીંયરીંગ નામના લેથના કારખાનામાં કારખાનાના માલિક દિલીપભાઇ મગનભાઇ પાડલીયા (ઉ.વ.૪૭, રહે. શનાળા ગામ, શક્તિ માતાજીના મંદિરની સામે)એ ગત તા. 14 જુલાઈના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવમાં ગઈકાલે મૃતકના પત્નીએ મહેશભાઈ, વીરેન્દ્રસિંહ, નરવીરસિંહ, મુસાભાઈ કાસમભાઈ, મુકેશભાઈ અને ફસલ ગુલમામદભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ આરોપીઓએ ઉચા વ્યાજે લોન આપી હતી. બાદમાં તે લોનની દિલીપભાઈ પાસે પઠાણી ઉધરાણી કરતા હતા. જેથી, દિલીપભાઈ આર્થિક સંકળામણમાં આવી જતા તેને અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં પોલીસે આ છ શખ્સો વિરુદ્ધ ફરિયાદની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.