સતત તક આપવા છતાં વિદ્યાસહાયક પોતાનો પક્ષ રજૂ ન કરી શકતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમની સેવાઓને કાયમી રીતે સમાપ્ત કરી મોરબી : હળવદના માણેકવાડા ગામની શાળાના વિદ્યાસહાયિકાની એક વર્ષ સુધી ગેરહાજરી બદલ હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં સતત તક આપવા છતાં વિદ્યાસહાયિકા પોતાનો પક્ષ રજૂ ન કરી શકતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમની સેવાઓને કાયમી રીતે સમાપ્ત કરી દીધી છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે મીડિયા સમક્ષ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લા પંચાયત સંચાલિત હળવદના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિનિતાબેન ખૂટીની અગાઉ વિદ્યાસહાયક તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ આ વિદ્યાસહાયકની શાળામાં ફરજ દરમિયાન સતત ગેરહાજરી જોવા મળી હતી. જેમાં આ વિદ્યાસહાયક 398 દિવસ શાળામાં ગેરહાજર રહ્યા હતા. તેમની આ ગેરહાજરી સબબ તેમની સામે નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આથી, તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અનેક તકો આપવામાં આવી હતી. તેમજ તેમના વિરુદ્ધ અખબારમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ રીતે અનેક તકો આપવા છતાં આ વિદ્યાસહાયક પોતાનો પક્ષ યોગ્ય રીતે રજૂ કરી શક્યા ન હતા. જોકે તેઓની પાંચ વર્ષ માટે સંતોષકારક સેવા બજાવવાની શરતે આ વિદ્યાસહાયકની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તેમની સતત ગેરહાજરીને કારણે અસંતોષકારક સેવાઓ ધ્યાને આવી હતી.આથી આ ગંભીર મામલે હળવદના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિનિતાબેન ખૂટીની સેવાઓને કાયમી રીતે બરખાસ્ત કરી દેવામાં આવી છે. અને હવે પછી શાળાનું મહેકમ નક્કી કરશે. આવા બાળકોના શિક્ષણના હિતમાં કર્મચારીઓના ફરજમાં રાખી શકાય એમ નથી. આથી, તેમની સેવાઓ કાયમી રીતે સમાપ્ત કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દાખલારૂપ કાર્યવાહી કરી છે.