મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરી ધજા ચડાવવાની વિધિ સંપન્ન કરાઈ મોરબી : અષાઢીબીજ નિમિત્તે વર્ષોથી મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના મચ્છુમાતાના મંદિરેથી નીકળતી ભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મુલત્વી રખાઈ હતી. જો કે સીમિત માત્રામાં ભાવિકોએ ઉપસ્થિત રહી વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાઓ સાદાઈથી સંપન્ન કરી હતી. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાંથી દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી શોભાયાત્રા આ વર્ષે સંજોગોને આધીન મુલત્વી રાખવામાં આવી છે. જો કે ધજા ચડાવવા સહિતની ધાર્મિક પરંપરાઓ નિભાવવામાં આવી હતી. ભરવાડ સમાજના પૂજનીય મચ્છોમાતાના સ્થાનકે આ વિધિ સાદાઈથી સંપન્ન કરવામાં આવી હતી. અષાઢી બીજે સૌરાષ્ટ્રની ત્રીજા નંબરની મોટી રથયાત્રા મોરબીમાં આયોજિત થાય છે. ત્યારે ભરવાડ, રબારી સમાજના લોકો દ્વારા ભાતીગળ હૂડરાસ રમતા રમતા આ યાત્રા દરવર્ષે નીકળતી હોય છે. આ વર્ષે જગ્યાના મહંત ગાંડુભગત દ્વારા સવારે 09 કલાકે ધજા ચડાવીને પરંપરા નિભાવવામાં આવી હતી જયારે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિવિધ સમાજના લોકો દ્વારા વર્ષ દરમ્યાન મચ્છોમાતાની માનતા માનવામાં આવતી હોય છે જે આજના દિવસે લોકો માનતા પુરી કરવા માટે આવતા હોય છે તેવા ભાવિકો સીમિત સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે બન્ને જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.