12 લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મંજૂરી અપાઈ : હાલ વાંકાનેરની મોડલ સ્કૂલમાં ક્વોરન્ટાઇન કરાયા વાંકાનેર : ઝારખંડ રાજ્યમાંથી તબ્લિગી જમાતના 12 લોકો મંજૂરી સાથે મોરબી જિલ્લાના વાંકાનેરમાં પોતાના વતન આવ્યા છે. આ 12 લોકો ત્યાં પણ કવોરન્ટાઈન હતા અને વાંકાનેરમાં આવતા આ 12 લોકોને તંત્રએ તકેદારીના ભાગરૂપે વાંકાનેરની મોડલ સ્કૂલમાં કવોરન્ટાઈન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઝારખંડ રાજ્યમાંથી તબ્લિગી જમાતના 12 લોકો બસ મારફતે આજે મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવી પહોંચ્યા હતા. તંત્રએ આ અંગે ખરાઈ કરતા ઝારખંડ રાજ્યમાંથી વાંકાનેર આવેલા તબ્લિગી જમાતના 12 લોકો મંજૂરી મેળવીને આવ્યા હોવાનું ખુલ્યું હતું. આ લોકો ત્યાં પણ 14 દિવસના કવોરન્ટાઈન હતા અને 14 દિવસના પિરિયડ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ લોકો મૂળ વાંકાનેરના વતની હોય હાલ વતનમાં આવ્યા છે. આથી, તંત્રએ તકેદારીના ભાગરૂપે હાલના તબબકે 12 લોકોને વાંકાનેરની મોડલ સ્કૂલમાં 14 દિવસના કવોરન્ટાઈન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડથી 12 લોકો બસ મુકવામાં આવી હતી. તે બસમાં ઝારખંડ મૂળ વતની અને હાલ વાંકાનેર રહેતા અન્ય પરપ્રાંતિયોને ઝારખંડ મોકલવામાં આવે તેવી શકયતા છે.