મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા પરપ્રાંતિય મજુરો માટે રહેવા તથા જમવાની સગવડ કરવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને માંગણી કરવામાં આવેલ છે. તેઓ દ્વારા લેખિત રજુઆતમાં જણાવવામાં આવેલ છે કે હાલમાં લોકડાઉનની પરિસ્થિતીમાં છૂટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરપ્રાંતિય મજુરોની હાલત અતિદયનીય અને કફોડી બની છે. તેઓ વતન પણ પરત જઈ શકતા નથી. હાલમાં શેલ્ટર હાઉસ પણ બંધ કરવામાં આવેલ છે. તો આવા સંજોગોમાં મોરબી જીલ્લામાં જુદી-જુદી જગ્યાએ છુટક મજુરી કરતા પરપ્રાંતિય શ્રમિકો કે જેઓ ખુબ જ મોટી સંખ્યામાં છે. તેઓ માટે સેલ્ટર હાઉસ ખોલવા અથવા જે તે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રહેવા તથા જમવાની યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.