મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોરખીજડીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદીમાં જણાવેલ છે કે ખેડુતો માટે ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મોરબી જીલ્લામાં આગામી તા.૦૨-૦૪-૨૦૨૦ થી તા.૦૫-૦૪-૨૦૨૦ દરમ્યાન હવામાન સુકું, ગરમ અને ચોખ્ખું રહશે. પવનની દિશા પશ્ચિમ, વાયવ્ય, અગ્નિ અને નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ ૬ થી ૮ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૬-૩૮ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૧-૨૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. વધુમાં, શિયાળું પાકોને સંગ્રહ કરતા પહેલા તેના દાણાને વ્યવસ્થિત સફાઈ કરી, દાણામાં ૮ ટકા કરતા ઓછો ભેજ રહે ત્યાં સુધી સૂર્ય તાપમાં સુકવી પછી સંગ્રહ કરવો. તેમજ જે ગોડાઉનમાં સંગ્રહ કરવાનો હોય તે ગોડાઉનમાંથી સંગ્રહેલ જુના દાણાઓ બહાર કાઢી વ્યવસ્થિત સફાઈ કરવી તેમજ દીવાલોમાં પડેલ તિરાડોઓનું રીપેરીંગ કરવું અને ગોડાઉનમાં ૦.૫ ટકા મેલાથીયોન દવાના દ્રાવણનો છંટકાવ કરવો. દવાના છંટકાવ પછી ૭ થી ૮ દિવસ ગોડાઉન હવાચુસ્ત રીતે બંધ રાખવું. તેમજ દાણા ભરવા માટેના કોથળા સુર્યતાપમાં સૂકવવા જેથી જીવાતોના ઈંડા અને કોશેટાનો નાશ થાય.