હળવદ : હાલ કોરોનાની મહામારી વચ્ચે કોઈ કારણોસર મોરબી અને કચ્છમાંથી ઘણી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ માદરે વતન મધ્યપ્રદેશ - રાજસ્થાન - દાહોદ તરફ જવા પગપાળા રવાના થયા છે. એ શ્રમજીવીઓ સાથે નાના નાના બાળકો અને મહિલાઓ અને વડીલો પણ સાથે છે ત્યારે તેઓ રાત્રીના સમયે હળવદથી પસાર થઈ રહ્યા હતા. શ્રમજીવીઓ સવારથી જ ચાલતા નીકળી ગયા હોય અને નાસ્તો કરીને જ ચલાવી લીધું હતું ત્યારે આશાપુરા હોટલના સંચાલકો એ સર્વે શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન ભરપેટ જમાડયું હતું અને સર્વે ની યોગ્ય સેવા પણ કરી હતી ત્યારે આવી મહામારી વચ્ચે તંત્ર પણ આ શ્રમજીવીઓની વ્હારે આવે અને તેમના માદરે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરે તે જરૂરી છે. આશાપુરા હોટલના સંચાલકો એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ લોકડાઉનની પરિસ્થિતિમાં સુરક્ષકર્મીઓ - આરોગ્યની સેવા આપતા કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને વિનામૂલ્યે પાર્સલ સુવિધા આશાપુરા હોટલ દ્વારા પુરી પાડવામાં આવશે ત્યારે ગઈકાલે રાત્રીના સમયે હોટલ પાસેથી પસાર થતા આશરે 250 થી 300 શ્રમજીવીઓની જઠરાગ્નિ ઠારી હતી અને સેવા કાર્યમાં નિમિત બન્યા હતા. આ કાર્યમાં હરખાભાઈ દલવાડી, હિતેશભાઈ દલવાડી, વિરુભાઈ, ઘનશ્યામભાઇ, લક્ષમણભાઈ સહિત 20 થી વધુ સેવાભાવીઓ એ ખડેપગે રહી નિઃસ્વાર્થ સેવા કાર્ય કરી અને માનવતાની મહેક પ્રસરાવી હતી.