બાકીના બે ફરાર આરોપીઓને ઝડપી લેવા મોરબી પોલીસની પંજાબમાં તપાસ : એક આરોપીનું સરનામું ખોટું નીકળ્યું, બીજા સાથે પરિવારે સબંધ તોડી નાખ્યો હોય, પોલીસના હાથે કઈ ન લાગ્યું મોરબી : મોરબીમાં ધોળે દિવસે બેંકને લૂંટનાર 4 ગેંગસ્ટર્સને પકડી પાડ્યા બાદ મોરબી પોલીસે નાશી છૂટેલા અન્ય બે શખ્સોને પકડી પાડવા માટે પંજાબ જઈને તપાસ હાથ ધરી છે. જો કે આ તપાસમાં એક આરોપીનું સરનામું ખોટું નીકળ્યું તેમજ બીજા આરોપી સાથે પરિવારે સબંધ તોડી નાખ્યો હોય. જેથી, તે ઘરે જ ન આવતો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, આ તમામ આરોપીઓ નશા અને હથિયારોના મોજ શોખ માટે ગુનાઓ આચરતા હોવાનું ખુલ્યું છે. મોરબીમાં 20 ફેબ્રુઆરીના રોજ પંજાબના છ શખ્સોની ગેંગે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંકમાંથી 6.44 લાખની લુંટ કરી હતી અને બે જુદીજુદી કારમાં તમામ આરોપીઓ નાશી ગયા હતા. જો કે લુંટમાં ગયેલા મુદામાલ સાથે પોલીસે સ્થાનિક લોકોની મદદથી વિદેશી પિસ્તોલ તેમજ કાર્ટીસ સાથે ચાર આરોપીઓ મનદીપસિંગ પાલસિંગ જટ, બલવિંદર સિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ, અરુણકુમાર શ્રીલાલચંદ મજબી, સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરુમેલસિંગ ગુર્જર નામના પંજાબના ચાર કુખ્યાત આરોપીઓનો સમાવેશ થતો હતો. આ ચારેય આરોપીને રિમાન્ડ પુરા થયા બાદ રાજકોટ જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાંથી પંજાબની પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે લઇ ગયેલ છે કારણ કે આ આરોપીઓ પંજાબમાં લુંટ, હત્યા, હત્યાની કોશિશ સહિતના ગંભીર ગુનાઓમાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતા. આ ગેંગ નારણજીતસિંગ ઉર્ફે રાણો બલવીરસિંગ મજબી અને સોનુસિંગ સતનામસિંગ (રહે બન્ને તરનતારન) હાલ ફરાર હોય તેની શોધખોળ માટે મોરબી પોલીસ પંજાબ પહોંચી હતી. જ્યાં મોરબી પોલીસને સોનુસિંગનું સરનામું ખોટું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે રાણા સાથે તેના પરિવારે સબંધ કાપી નાખ્યો હોય તે ઘરે જ ન આવતો હોવાનું ખુલ્યું હતું. વધુમાં, આ આરોપીઓ પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સ હોય બધા નશીલા પદાર્થ અને હથિયારોના મોજશોખ માટે ગુનાઓ આચરતા હતા તેવું પોલીસને જાણવા મળ્યું છે.