પતિએ પિયર જવાની ના કહેતા પરિણીતાને લાગી આવ્યું : લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડાઇ હળવદ : હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે છોટાઉદેપુર બાજુથી મજુરી કામ અર્થે આવેલ આદિવાસી પરણિતાને તેના પતિએ પિયર જવાની ના કહેતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવને પગલે મૃતક મહિલાની લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવી હતી સાથે જ આ અંગેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે છોટાઉદેપુર બાજુથી મજુરી કામ અર્થે આવેલ મંજુબેન રાજેન્દ્રભાઈ આદિવાસી (ઉંમર વર્ષ ૨૫)ને પિયર જવું હોય, જે અંગે તેના પતિએ ના કહેતા મંજુબેનને લાગી આવ્યું હતું અને વાડીમાં ખડમાં છાંટવાની દવા તારીખ ૨૦/૨ ના રોજ પી ગયા હતા. જો કે દવાની અસર બે દિવસ પછી થતા મંજુલાબેનનું ગતરાત્રીના મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હળવદ પોલીસને થતા અરવિંદભાઈ ઝાપડિયા, સંજયભાઈ લકુમ સહિતનાઓ ઈશ્વરનગર ગામે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે દવા પી ગયાના બે દિવસ બાદ મોત નિપજતા થોડી શંકાઓ ઉપજવા પામી હતી. જેથી, મોતનું ચોક્કસ કારણ જાણવા લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાનું મોત ઝેરી દવા પીવાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.