સ્થાનિક રહીશોએ રોડ મજબૂત અને ટકાઉ બને તે માટે યોગ્ય કામગીરી કરવાની માંગ કરી મોરબી : મોરબીના બોડાસર વાડી વિસ્તારના મેઈન રોડને બનાવવાનું કામ વર્ષો પછી હાથ ધરાયુ છે. પણ આ નવા રોડ બનાવવાની કમગીરી અણઘડ રીતે થતી હોવાથી રોડનું કામ નબળું થયા તેવા એંધાણ વ્યક્ત થઈ રહ્યા છે. રોડની અણઘડ રીતે થતી કામગીરીથી સ્થાનિકોમાં ક્રોધ ફેલાયો છે. આથી, સ્થાનિક રહીશોએ પાલિકાને આવેદન આપીને વર્ષો પછી બની રહેલા આ રોડનું કામ યોગ્ય રીતે કરાવવાની માંગ કરી છે. મોરબીના વોર્ડ નંબર 2માં આવેલ બોડાસર વાડી, શ્રદ્ધા પાર્ક અને રણછોડનગરના રહીશોએ પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે બોડાસર વાડી વિસ્તારનો મેઈન રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં હોય અનેક રજુઆત કર્યા બાદ તંત્ર દ્વારા આ રોડને નવો બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે અને એક અઠવાડિયા પહેલા આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પણ રોડના કામમાં કોન્ટ્રાકટર રોડ બનાવવાના નિયમોનું ઉલઘ્ઘન કરીને મનમાની ચલાવે છે. રોડની કામગીરી અણઘડ રીતે કરે છે. જ્યારે શ્રદ્ધાપાર્કથી અમરેલી રોડ બાયપાસ સુધીનો રોડ છે એ અંદાજીત સવા કિમીનો રોડ છે અને બે ભાગમાં રોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આશરે રૂ. 98 લાખના ખર્ચે આ રોડને નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જો કે આ રોડ વર્ષોથી નવો બન્યો નથી. પરંતુ સરકારી ચોપડે બે વખત રોડ બની ગયો છે પણ હકીકતમાં આ રોડ બન્યો જ નથી. હવે વર્ષો પછી રોડ બને છે ત્યારે આ રોડ ગુણવત્તાસભર, મજબૂત અને ટકાઉ બને તેવી સ્થાનિકોએ માંગ કરી છે. પરતું રોડના નીતિ નિયમોનું હાલ ઉલઘ્ઘન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોડનું ખોદાણ કર્યા પછી યોગ્ય રીતે બુરાણ પણ થયું નથી અને કપચી પણ નખાઈ નથી. તેમજ વચ્ચેનું લેવલ પણ જળવાતું નથી અને એક જ સાઈડથી રોડ બનાવે છે. રોડ પરના ઇલે. બોર્ડ સહિતના દબાણો પણ હટાવતા નથી. આ રીતે રોડની લોલમલોલ કામગીરી થશે તો રોડ નબળો બનાવની પૂરેપૂરી શકયતા છે. તેથી, આ રોડની યોગ્ય રીતે કામગીરી કરવાની કલેકટર અને ચીફ ઓફિસર સમક્ષ માંગ કરાઈ છે.