બાળવિદુષી રતનબેનનું નામકરણ રત્નેશ્વરીબેન કરાયું મોરબી : મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે રામદેવજીના સવરા મંડપના 12 વર્ષ પૂર્ણ થતા મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં બાળવિદુષી રતનબેનના વ્યાસપીઠ સ્થાનેથી શિવ મહાપુરાણ કથાનું ગત તા. 8 થી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા અંતર્ગત રાંદલ ઉત્સવ, યજ્ઞોપવિત, કાવ્ય સંધ્યા, જેસલ-તોરલનું નાટક તથા લોકડાયરો સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગઈકાલે શિવ કથાના અંતિમ દિવસે કથામાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં વક્તા રતનબેનનું નામકરણ રત્નેશ્વરીબેન કરવામાં આવ્યું હતું. હવે તેઓ રત્નેશ્વરીબેન તરીકે ઓળખાશે. આ અવસરે ખોખરા હનુમાનધામના મહંત કનકેશ્વરીદેવી સહિતના અનેક સંતો-મહંતો તેમજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ગઢવી સાહેબ, દેવેનભાઈ રબારી સહિતના અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કથા દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા તેમજ કથા અંતર્ગત યોજાયેલા અનેક કાર્યક્રમોનો લોકોએ લાભ લીધો હતો.