ફોરજીનો ચાર્જ લઈને ટુજીની સગવડ પણ ન મળતા લોકો ત્રાહિમામ : ગ્રાહકો સાથે વટથી થતી છેતરપીંડી મોરબી : મોરબી શહેરના સામા કાંઠે આવેલા જિલ્લા સેવા સદન વિસ્તારમાં પાછલા ત્રણ દિવસથી બીએસએનએલના ફોરજીનો ટાવર બંધ હોવાથી સ્થાનિકોમાં દેકારો વ્યાપી ગયો છે. પાછલા ત્રણ દિવસથી BSNLના ટાવરમાં કોઈ ટેક્નિકલ તકલીફ થવાથી ગ્રાહકોમાં દેકારો મચી ગયો છે. જિલ્લા સેવા સદન વિસ્તારના ગ્રાહકોએ બીએસએનએલની સ્થાનિક કચેરીએ ફોન કરતા જાણવા મળ્યું હતું કે 4Gનું કાર્ડ ખરાબ હોવાથી બહારથી મંગાવ્યું છે અને અધિકારીઓને પણ આ બાબતની જાણકારી હોવા છતાં ઢીલી નીતિને કારણે ગ્રાહકો પરેશાની વેઠી રહ્યાં છે. એક ગ્રાહકે કરેલી ટેલિફોનિક વાતચીતમાં બીએસએનએલના એક કર્મચારીએ બુધવાર હોવાથી ટાવર બંધ છે એવો વાહિયાત ખુલાસો કરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. બીએસએનએલ શું એવું માને છે કે બુધવાર હોવાથી લોકોને નેટવર્કની જરૂર નહીં પડતી હોય? આજે ત્રણ દિવસથી સો ઓરડી વિસ્તારમાં ફોન પણ લાગતા ન હોવાની રાવ ઉઠી છે ત્યારે થઈ જશે જેવો ઉડાઉ જવાબ BSNLની ઓફિસેથી મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે 31મી જાન્યુઆરીએ મોરબી સર્કલમાંથી 50 જેટલા કર્મચારીઓ, ટેક્નિશિયનો સહિત ઉચ્ચ અધિકારીઓએ સરકારની યોજના મુજબ એક સાથે સ્વૈચ્છીક સેવાનિવૃત્તિ લીધી હતી ત્યારે જ મોરબી અપડેટે આશંકા વ્યક્ત કરી હતી કે આવનારા દિવસોમાં BSNLની સેવા હજુ વધારે કથળી શકે છે. દુર્ભાગ્યે એ આશંકા સાચી પડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે.