મોરબી : મોરબી-રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી બસ સુવિધાનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં લોકો કરે છે. ત્યારે મિતાણા ખાતે આ બસ સેવાનો સ્ટોપ આપવામાં નથી આવી રહ્યો ત્યારે મિતાણા સહિત આજુબાજુના દસ ગામના લોકોને આ સુવિધાનો લાભ મળે એ માટે મોરબી-રાજકોટ ઇન્ટરસિટી બસને મિતાણા ખાતે સ્ટોપ આપવા સ્થાનિકોએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરી છે. સાથોસાથ વાહન વ્યવહારમંત્રી, અને રાજકોટ વિભાગીય નિયામક કચેરીને 20 દિવસ પહેલાં રજુઆત કરવામાં આવી હતી. મિતાણા ગામની આજુબાજુના 10 ગામના લોકોએ કે જેમાં નેકનામ, હમિરપર, રોહિશાળા, ધ્રોલિયા, વિરપર, ગણેશપર પ્રભુનગર (મિતાણા), સખપર, દહીંસરડા અને ઉકરડા ગામનો સમાવેશ થાય છે, તેઓએ સંબધિત વિભાગોને મિતાણા ખાતે રાજકોટ-મોરબી ઇન્ટરસિટી બસને સ્ટોપ આપવા રજુઆત કરી છે. હાલના સમયમાં રાજકોટ-વચ્ચે પેસેન્જરોનો ખૂબ મોટો ટ્રાફિક રહે છે. જો કે એસ.ટી. બસોની સુવિધા મુસાફરોના ઘસારાની સામે નહિવત છે. મિતાણાથી રાજકોટ તરફ જતા રોડ પર આવતા ગામડાઓ સુધી રાજકોટ શહેરી વિસ્તારમાં ચાલતી સીટી બસની સુવિધા છે. પરંતુ મિતાણાથી રાજકોટ જવા માટે મોટેભાગે કોઈ ખાસ સુવિધા ન હોવાથી લોકોને ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવા મજબુર બનવું પડે છે. ઇન્ટરસિટી મોરબી-રાજકોટની બસને જો મિતાણા ખાતે સ્ટોપ આપવામાં આવે તો આજુબાજુના 14 ગામના 45000 લોકોને આ સુવિધાનો લાભ મળી શકે એમ છે. નેકનામ ગામના મયુર હાલપરાએ ઉપરોક્ત તમામ ગામોના ગ્રામજનો વતી લાગતા વળગતા વિભાગોને આ બાબતે રજુઆત કરી છે.