મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લિફ્ટ ઇરિગેશનની કેનાલોના લાભાર્થી ખેડૂતોને નિ:શુલ્ક વીજળી કનેશન તથા વિજળી આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઘણી કેનાલોને લિફ્ટ સિંચાઇ માટેની કેનાલોમાં ફેરવવામાં આવેલ છે. જે કરવાથી પાણીનો બચાવ થશે. વધારે ખેડૂતોને પાણી મળી શકશે. જે સારી બાબત છે. પરંતુ આ યોજનાઓમાં પહેલા ખેડૂતોને ધોરિયા દ્વારા પોતાના ખેતર સુધી મફતમાં પાણી મળતું હતું અને આ સિંચાઇ યોજનાની જોગવાઈઓ મુજબ જે તે ખેડૂતોને પોતાના ખેતર સુધી ઘોરીયા દ્વારા પાણી પહોચાડવાની યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવેલ હતી. હવે જ્યારે સરકાર પાણીની બચત માટે યોજનામાં ફેરફાર કરવા જઈ રહી છે. ત્યારે જે તે ખેડૂતોને પોતાના ખેતર સુધી પહેલાની જેમ મફત પાણી મળવાનું નથી. જેથી ખેડૂતોને ડીઝલ એન્જિન દ્વારા પોતાના ખેતર સુધી પાણી લઈ જવું પડશે. સરકાર કદાચ સિંચાઇનું શુલ્ક અર્ધુ કરશે . પરંતુ જે ખર્ચ ડીઝલનો આવશે તે ખુબ જ વધારે હશે. આથી રજુઆતમાં માગણી કરવામાં આવી છે કે આ માટે જે વિસ્તારના ખેડૂતો લિફ્ટ સિંચાઇ દ્વારા પાણીનો ઉપયોગ કરે છે. તેઓને સમગ્ર ગુજરાતમાં મફત ઇલેક્ટ્રીક ક્નેકશનો આપવા માં આવે તેમજ તેઓને મફત વીજળી 24 કલાક માટે આપવામાં આવે.