માળિયા : કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સંસદના બન્ને ગૃહમાં નાગરિકતા સંશોધન બીલ પાસ કરાવ્યું હતું. રાષ્ટ્રપતિની સહી સાથે એ બીલે હવે કાયદાનું સ્વરૂપ લીધું છે. જો કે કાયદો ક્યારથી અમલમાં આવશે એ અંગેનું નોટિફિકેશન હજુ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું નથી. આમ છતાં એ કાયદાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ત્યારે માળિયા તાલુકામાં પણ લઘુમતી સમાજ દ્વારા એ કાયદાનો શાંતિપૂર્વક વિરોધ થઈ રહ્યો છે. મોરબીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની આગેવાનીમાં સુન્ની મુસ્લિમ સમાજના લોકો દ્વારા આ અંગે માળિયા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયુ હતું કે આ કાયદો દેશના મૂળ બંધારણમાં સમાન નાગરિકતાની વિભાવનનો ભંગ કરે છે એવું જણાવીને લઘુમતી સમાજનો વિરોધ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનો અનુરોધ કરાયો હતો. આવેદન પત્ર આપવા માટે બહોળી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નાગરિકતા કાયદો બંધારણની કલમ 14નો ભંગ કરે છે એવું જણાવી દેશભરમાં આ અંગે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર તેમજ પીએમ, ગૃહમંત્રી સહિતના નેતાઓ દેશવાસીઓને ખોટી અફવાઓથી ન દોરવાઈને આ કાયદો નાગરિકતા આપવા માટે છે કોઈની નાગરિકતા છીનવવા માટે નથી એવું વારંવાર દરેક પ્લેટફોર્મ પરથી કહી રહ્યા છે. આમ છતાં લઘુમતી સમાજમાં આ કાયદાની વિસંગતતાને લઈને ફેલાયેલી અસમંજસની સ્થિતિને કારણે વિરોધ પ્રદશાનો થઈ રહ્યા છે.