વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જામસર ગામમાં ખેતરમાં ઘુસી ગયેલ ભેંસોને કાઢવાનું કહેતા મારામારી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે સાંજે વાંકાનેર તાલુકાના જામસર ગામની સીમમાં આવેલ એકસેલ પેપર મીલની બાજુમાં ઘુસી ગયેલ ભેંસોને કાઢવાનું કહેતા ચાર શખ્સો વચ્ચે મારામારી થઇ હતી. ફરીયાદી ભરતભાઇ ચતુરભાઇ દેલવાડીયાના ખેતરમાં આરોપીઓની ભેંસો ઘુસી જતા ભરતભાઇએ આરોપી મનસુખભાઇ બચુભાઇ દંતેસરીયાને તેની ભેંસો ખેતરમાંથી લઇ લેવાનુ કહેતા તેઓએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી ઝગડો કર્યો હતો. તે દરમિયાન આરોપીઓ મોહનભાઇ મનસુખભાઇ દંતેસરીયા અને ગલાલબેન મનસુખભાઇ દંતેસરીયાએ આવી ભરતભાઇ સાથે ઝગડો કરી તેઓને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. બાદમાં આરોપી મોહનભાઇએ ભરતભાઇને માથાના ભાગે લાકડીના ત્રણ જેટલા ઘા માર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદી ભરતભાઇને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓને માથાના ભાગે ૧૨ ટાંકા આવેલ હતા. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની તાપસ હાથ ધરી છે.