71000 રૂપિયાની રકમ 300 દિવસ પહેલા ચૂકવી આપે તો જેલ મુક્ત કરવા પ્રિન્સિપાલ સિવિલ જજનો આદેશ ટંકારા : ટંકારામાં પિયર ધરાવતી અને અમરેલી જિલ્લાના બગસરા ખાતે સાસરું ધરાવતી પરિણીતાએ પતિ પર ભરણપોષણ ચૂકવવા અંગે કોર્ટમાં દાવો માંડ્યો હતો. જેમાં સિવિલ જજે પતિને કસૂરવાર ઠેરવીને 300 દિવસની જેલની સજા અને ચડત થઈ ગયેલી રકમ પત્નીને જમા કરાવે તો જ જેલ મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ભરણ પોષણના આ કેસની વિગત પ્રમાણે ટંકારામાં માવતરને ઘેર રહેતી તાહેરાબેન બાબરશા શામદારે અમરેલીના બગસરા ખાતે રહેતા પતિ જાવેદભાઈ હુસેનભાઈ શામદાર સામે પોતાનું અને એમના સગીર વયના બાળકનું ભરણપોષણ કરવા અંગે સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં પ્રિન્સિપાલ જજ દ્વારા જાવેદભાઈ શામદાર સામે વોરંટ ઇસ્યુ કરીને એને કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. અગાઉ નામદાર કોર્ટે દર મહિને પત્નિ-સગીર બાળકના ભરણપોષણ પેટે 3500 રૂપિયા ચૂકવવાનું ઠેરવ્યું હતું. જે જાવેદભાઈએ પાછલા 20 મહિનાથી ચૂકવ્યું ન હોય કોર્ટે પતિ સામે વોરંટ ઇસ્યુ કર્યું હતું 71000 રૂપિયા પત્નીને ચૂકવી આપવા અન્યથા 300 દિવસની જેલની સજા ભોગવવા હુકમ કર્યો હતો. આ રકમ જેલની સજા દરમ્યાન જો ચૂકવી આપશે તો જેલ મુક્ત કરવાનો સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજે હુકમ કર્યો છે.