વાંકાનેર : વાંકાનેરના આનંદપુર ગામમાં વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) સંસ્થા દ્વારા વિચરતી જાતિ પૈકીના સરાણિયા સમુદાયનું સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દરેક ગામોમાંથી સરાણિયા સમુદાયના લોકો બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતની આઝાદી પછી આજ સુધી આ સમાજ અમાનવીય જીવન જીવી રહ્યા છે. જે તમામ સરકારી લાભોથી વંચિત છે. તેઓની પાસે ભારતીય નાગરિક હોવાના પૂરતા પુરાવામાં નથી. તેમજ તેઓ સરકારી યોજનાઓથી પણ અજાણ છે. તેઓ પાસે રહેવા માટે ઘર નથી, તેઓ છુટા-છવાયા છાપરા બાંધી વસવાટ કરે છે. આવી સમસ્યાઓમાં મદદગાર બનવા માટે તથા સરાણિયા સમુદાયના લોકો વચ્ચે એકતા અને સંપ જળવાય રહે તેવા હેતુસર સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે VSSM સંસ્થાના મુખ્ય સચિવ મિત્તલબેન પટેલ, આનંદપર ગામના સરપંચ તથા ઉપસરપંચ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન VSSMના કાર્યકર કનુભાઈ બજાણીયા તથા છાયાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.