મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવાએ રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુને જમીન ધોવાણનો સર્વે કરી ખેડુતોને સહાય આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. કે. ડી. બાવરવાએ અરજીમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અતિ ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડુતોની જમીનનું ધોવાણ થવા પામેલ છે. તેમજ ખેડુતોએ વાવેલા પાકો પણ ધોવાયેલ છે. સરકાર દ્વારા જે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. તે ખુબ જ ધીમી ગતિની છે. એટલે કે ગોકળ ગાયની ગતિ એ આ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સ્ટાફ વધારવાની માંગણી કરેલ હતી પરંતુ હજુ સુધી આ કામગીરી ૧૦૦% પૂર્ણ થયેલ નથી જે દુઃખદ બાબત છે. સતત વરસતા વરસાદના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતો લીલા દુષ્કાળની અસર હેઠળ આવી જવા પામેલ છે. એમાં પણ અમારા મોરબી જીલ્લાના મોરબી તેમજ માળિયા(મીં.) તાલુકામાં કે જ્યાં ફક્ત સુકી ખેતી આધારીત ગામો છે ત્યાં અને અહીંની જમીન પાણીનો વધારો સહન ન કરી શકે તેવી માટીવાળો વિસ્તાર હોવાથી (વોટર લોગીંગ અસર વાળો વિસ્તાર) હવે કોઈ પણ પાક પાકે તેવા સંજોગો રહ્યા નથી અને શિયાળુ પાક થઇ શકે તેવી કોઈ વ્યવસ્થા પણ નથી. એવા આ વિસ્તારમાં જો વહેલાસર સર્વે કમ્પલીટ થાય તેમજ સમયસર સહાય ચૂકવાય તો આ વિસ્તારના ખેડૂતોને આવા કપરા સંજોગોમાં થોડી રાહત રહે તેમ છે. તો આ સહાય તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માંગણી છે. આ ઉપરાંત, આ વર્ષે વધારે વરસાદ થતા પાકો લીલા દુષ્કાળના કારણે નિષ્ફળ જાય તેમ છે. તો આ વિસ્તારના ખેડૂતો લીલો દુષ્કાળ ગણીને પાક વીમો ચુકવવામાં આવે તેવી અપીલ કે. ડી. બાવરવા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુને તથા વિધાનસભા નેતા પરેશભાઇ ધાનાણીને કરવામાં આવી હતી.