મોરબી : વિજ્ઞાન ટેકનોલોજીનું મહત્વ ખૂબ જ વધતુ જાય છે. દિવસે- દિવસે વિજ્ઞાન પ્રગતિ કરતું જાય છે.આપણો ભારત દેશ ડો.વિક્રમસારાભાઇ, ડો.એ.પી.જે અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકોની મદદથી વિજ્ઞાન ટેક્નોલોજી ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી ચૂક્યો છે. આવી વિજ્ઞાન ટેક્નોલોજીની દુનિયાથી માહિતગાર કરવા માટે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે. જેમાં મોરબી તાલુકાની બધી જ સ્કૂલના વિદ્યાર્થીઓ અલગ અલગ વિજ્ઞાન અને ગણીતની કૃતિઓ રજૂ કરશે. જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ મોરબી તથા તપોવન વિદ્યાલય જેતપર દ્વારા ડૉ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન 2019-20નું આયોજન કરવામાં આવ્યું છે. તપોવન વિદ્યાલય, જેતપર, મોરબી ખાતે તારીખ 12/09/2019ને ગુરુવારે સવારે 08:30થી સાંજે 04:00 કલાક સુધી આયોજિત થનારા આ કાર્યક્રમમાં વિજ્ઞાન-ગણિતના વિષયો અંતર્ગત પ્રદશન રાખવામાં આવ્યું છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી દ્વારા આ કાર્યક્રમના ઉદ્દઘાટન બાદ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ કૃતિઓ દર્શાવવી અને તેની વિસ્તૃત સમજણ આપવામાં આવશે. અતુલભાઈ પાડલીયા (સહ કન્વીનર શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ, મોરબી), વિજયભાઈ કાચરોલા (સંચાલક તપોવન વિદ્યાલય, જેતપર) અને નરેશભાઇ સાણજા (કન્વીનર શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ, મોરબી)એ સયુંકત રીતે નિમંત્રણ પાઠવીને આ કાર્યક્રમનો લાભ લેવા એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.