મોરબી : થોડા મહિનાઓ પહેલા પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિજનોને મોરબીના યુવાનો હાથોહાથ સહાય આપવા વિવિધ રાજ્યોની મુલાકાતે જઈ રહ્યા છે. અગાઉ 3 રાઉન્ડમાં 10 રાજ્યોના 31 શહીદ જવાનોના પરિવારને 49 લાખ રૂપિયાની સહાય અર્પણ કર્યા બાદ હાલ આ યુવાનો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા આસામના 5 શહીદોના પરિવારને સહાય અર્પણ કરવા માટેના પ્રવાસે છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલામાં શહીદ થયેલ જવાન નિતિન શિવાજી રાઠોડના મહારાષ્ટ્રના ઝાલના જિલ્લા ખાતે તેમના પરિવારજનોને 1.50 લાખની સહાય અર્પણ કરી મહારાષ્ટ્રના બુલધાના જિલ્લાના મલકાપુર ખાતે શહીદ જવાન સંજય રાજપૂતના પરિવારજનોને 1.50 લાખની સહાય અર્પણ કરી હતી. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશમાં જબલપુર જિલ્લાના સિહોર તાલુકાના કુંડવાલ ગામ ખાતે શહીદ જવાન અશ્વિનીકુમાર કોચીના પરિવારજનોને સહાય અર્પણ કરતી વખતે જાણવા મળ્યું કે આજ ગામના રમેશ પટેલ નામના યુવાન 2016માં જમ્મુ કાશ્મીરના કૂપવાડા આતંકી હુમલામાં શહીદ થયા હતા. આથી એ જવાનને પણ સહાય કરવાની તત્પરતા દર્શાવી અને તેમના ઘરે જઈ 1 લાખની સહાય અર્પણ કરી હતી. ત્યાર બાદ આસામના બક્ષા જિલ્લાના તામુલપુર ગામ (જે ભૂટાનથી માત્ર 27 કિમી દુર છે)ના શહીદ જવાન માનેશ્વર બસ્તારના પરિવારજનોને 1.50 લાખની સહાય અર્પણ કરી હતી. આમ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને આસામ એમ ત્રણ રાજ્યોની યાત્રા પુરી કરી 5 શહીદ જવાનોને હાથો હાથ સહાય અર્પણ કરી અજય લોરીયા સહિતની ટીમ મોરબી તરફ પરત આવવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે પુલવાવ હુમલામાં શહીદ જવાનોના પરિવારજનોને સહાય માટેનો અગાઉ 3 રાઉન્ડમાં 10 રાજ્યોના 31 જવાનોને 49 લાખની સહાય આપ્યા બાદ આ ચોથા રાઉન્ડમાં 3 રાજ્યો (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આસામ)નો 9000 કી. મી.નો પ્રવાસ કરીને 5 શહીદ જવાનોના પરિવારને કુલ 7 લાખ રૂપિયાની સહાય આપી હતી. આ તકે અજય લોરીયા સહિતની ટીમે તમામ રાષ્ટ્રભક્તો, મીડિયાના મિત્રોનો પ્રેરણા બળ પૂરું પાડીને આ સેવાને વધાવી જુસ્સો વધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.