વોર્ડ નંબર 3માં એક મહિનાથી તૂટી ગયેલી ભૂગર્ભ ગટરની કુંડી અકસ્માતની રાહમાં : આ જ વોર્ડના રામ-કૃષ્ણનગરમાં જામ થઈ ગયેલી ગટરોનું ગંદુ પાણી હવે ઘરોમાં ઘુસ્યું મોરબી : સ્વચ્છતા અને રોડ-રસ્તાની જાળવણી બાબતે મોરબી પાલિકા તંત્ર પાછલા 3 મહિનાથી ખાડે ગયું હોય એમ સમગ્ર મોરબી શહેરમાંથી રોજની ઢગલા મોઢે ફરિયાદ પાલિકામાં ઠલવાય છે. આ ફરિયાદોનો નિકાલ કરવામાં પાલિકા તંત્ર સાવ નાકામ રહેતું હોવાથી રેઢિયાળ તંત્ર સામે લોકો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. પાલિકાની રેઢિયાળ અવ્યવસ્થાનો એક તાજો મામલો પ્રકાશમાં આવ્યો છે. વોર્ડ નંબર 3માં આવેલા અરુણોદય નગર અને રીલીફરોડને જોડતી શેરીમાં પાછલા એક મહિનાથી ભૂગર્ભ ગટરની કુંડીનો સ્લેબ તૂટી ગયો છે. કોઈ અજાણ્યા વાહનનો ભાર ન સહી શકતા સ્લેબ તૂટી જઈ તેના સરિયા દેખાઈ ગયા છે અને એમાંથી નીચે વહેતી ગટર દેખાઈ રહી છે. નબળી ગુણવત્તાના કામને કારણે આવું બન્યું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા એક માસ અગાઉ આ બાબતે પાલિકા પ્રમુખ કેતન વિલપરાને પત્ર લખી જાણ કરાઈ હતી. આ તૂટેલી ગટર કોઈ નિર્દોષ બાળક કે પશુનો ભોગ ન લ્યે એ માટે સ્થાનિકો દ્વારા તેને વાંસની બનેલી પાલખી દ્વારા ઢાંકી દેવાઈ છે. એક મહિના અગાઉ કરાયેલી રજૂઆતનો તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિભાવ ન મળતા સ્થાનિકો દ્વારા બીજી વાર આ બાબતે નિંભર તંત્રને જાણ કરવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે કોઈ મોટા અકસ્માત બાદ પાલિકા હરકતમાં આવે છે કે એ પહેલાં સ્થાનિકોની સમસ્યાનો અંત આવે છે. આ જ વોર્ડ નંબર 3માં રામ-કૃષ્ણનગરની ભૂગર્ભ ગટરો સદંતર જામ થઈ ગઈ હોવાથી ગટરોનું સઘળું ગંદુ પાણી રોડ પર ફેલાઈને હવે લોકોના ઘરોમાં ઘુસવા લાગ્યું છે. સતત ભરાયેલા રહેતા ગટરના પાણીને કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ફેલાઈ રહેલી દુર્ગંધને કારણે સ્થાનિકો ચોવીસ કલાક બારી-બારણાં બંધ રાખી ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા છે. ફેરિયાઓ અહીં પ્રવેશી શકતા ન હોવાથી શાક-બકાલા અને દૂધ જેવી રોજિંદી ચીજ-વસ્તુઓ લેવા માટે સ્થાનિક રહેવાસીઓને બહાર જવું પડે છે અને એ પણ અસહ્ય અને માથું ફાડી નાખે એવી ગંદકીની દુર્ગંધ વચ્ચેથી પસાર થવું પડે છે. આ સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ વારંવાર સંબંધિત તંત્રને રજૂઆતો કર્યા પછી પણ જૈસે થેની સ્થિતિ જળવાઈ રહી છે. ત્યારે વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડની આગેવાનીમાં રહીશોની સહી સાથેનું આવેદનપત્ર મોરબી પાલિકા ચીફ ઓફિસરને આપ્યું છે. હવે જોવું રહ્યું કે આ વિસ્તારના નાગરિકોને આ નર્કાગાર જેવી સ્થિતિમાંથી ક્યારે છુટકારો મળે છે.