ગરીબ દર્દીઓના હિતમાં લાભદાયી યોજના ફરીથી ચાલુ કરવા મોરબીના કોંગી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : રાજ્યમાં ગરીબ દર્દીઓ માટેની ખૂબ જ અગત્યની માં અમૃતમ કાર્ડની સરકારી યોજનાનો લાભ બંધ કરવામાં આવ્યો છે.તેથી લાખો ગરીબ દર્દીઓની કફોડી સ્થિતિ સર્જાઈ તેવી ભીતિ છે.આથી મોરબીના કોંગી આગેવાને મુખ્યમંત્રીને રજુઆત કરીને રાજ્યના લાખો ગરીબ દર્દીઓના હિતમાંમાં અમૃતમ કાર્ડની યોજના ફરીથી ચાલુ કરવાની માંગ કરી છે. મોરબીના કોંગી અગ્રણી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ યોજનામાં સમાવાયેલ ૧૯૫ પ્રકારની સારવારને રદ કરવામાં આવેલ છે. આના કારણે જે ગરીબ લોકો આ યોજનાનો લાભ લઇને નવું જીવન પ્રાપ્ત કરી શકતા હતા તેઓ હવે મૃત્યુના શરણે જશે. આ રીતે લાખો ગરીબોને સહાય ના અભાવે પોતાના જીવનનું બલિદાન આપવાનો વખત આવશે. આ યોજના એકાએક બંધ કરી દેવાતા લોકો પણ સરકાર દ્વારા છેતરાયાનો એહસાસ કરી રહ્યા છે.એક બાજુ સરકારી હોસ્પિટલોમાં સારવારના કોઈ ઠેકાણા નથી અને એમાં એક સહારા સમાન જે યોજના હતી તે પણ સરકાર દ્વારા બંધ કરાતા હવે ના છુટકે લોકો એ પ્રાઈવેટ હોસ્પિટલોના સહારે જીવવાનો વારો આવ્યો છે. જે આ ગરીબ લોકો માટે શક્ય નથી. તો હવે આ સરકાર ફક્ત અમીરોને જ જીવવાનો હક્ક છે તેવું માની રહી છે કે ગરીબો માટે પણ કંઈ વિચારશે? સરકારી હોસ્પિટલોમાં શું સ્થિતિ છે તે તો સૌ સારી રીતે જાણે છે. સરકારી હોસ્પિટલોમાં કાં તો ડોકટરો નથી હોતા અને ડોકટરો હોય તો દવા નથી હોતી. દવા અને ડોક્ટર હોય ત્યાં ઓપરેશન માટેના સારા સાધનો નથી હોતા. આમ સરકારી હોસ્પિટલો હોવા છતાં ન હોવા બરાબર છે. આવી સ્થિતિમાં અમો લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈને આ યોજના જલ્દી ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો આમ નહી કરવામાં આવે તો ગરીબો સડક પર નીકળશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી ની રહેશે. અમારે ના છુટકે ગરીબોની સાથે રહી ગાંધીચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.