માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે મહેન્દ્રગઢથી ઉપરવાસમાં આવેલા ખાખરાળાં ગામનું તળાવ તૂટવાથી તથા કેનાલમાં ઉપરવાસનું પાણી આવી જવાથી ગામની સિમ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. આથી ખેતરોમાં રહેલો ઉભો પાક ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત ખેતરોમાં રેતી અને માટી પથરાઈ જતા ખેડૂતોને ડબલ માર પડ્યો છે. વધુમાં ખેતરોના બંધ-પાળાઓને પણ વ્યાપક નુકશાન થયું છે. ત્યારે આ બાબતે સત્વરે સર્વેની કામગીરી હાથ ધરી ખેડૂતોને થયેલ નુક્શાનીનું નિરીક્ષણ કરી યોગ્ય વળતર-સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે. ગયા વર્ષે દુષ્કાળના કારણે ખેડૂત પાયમાલ થયા હતા ત્યારે ચાલુ વર્ષે અતિવૃષ્ટિને લઈને ખેડૂતોને નુકશાન થયું હોય આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા મહેન્દ્રગઢ ગ્રામપંચાયત દ્વારા જિલ્લા પંચાયત, ખેતીવાડી અધિકારી તેમજ મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે. [gallery ids='66945,66944,66943']