વાંકાનેર : 27 નેશનલ હાઇવે પરથી કેરાળા ગામ જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ હાઈવેથી કેરાળાના બોર્ડ પાસેથી કેરાળા જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. આ તમામ વિસ્તારનું વરસાદનું પાણી નેશનલ હાઇવે પર આવેલા નાળામાં થઈને નેશનલ હાઈવેની પશ્ચિમ દિશામાંથી પસાર થાય છે પણ ત્યાં આ નાલામાં કચરો જમા થયેલો હોવાથી પાણીનો નિકાલ થઇ શકતો નથી અને પરિણામે કેરાળા ગામ જવાના રસ્તો પાણીમાં ડૂબી ગયો છે. કેરાળા ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ ગ્રામજનોએ આક્ષેપ કરેલ કે નેશનલ હાઇવે ઉપર જ્યારથી રાજા પેટ્રોલ પંપ બન્યો છે ત્યારથી આ પરિસ્થિતિ ઊભી થઇ છે. આ બધું જ પાણી રાજા પેટ્રોલ પંપ પાસે થઈને નીકળતું હતું જ્યાં રાજા પેટ્રોલ પંપના માલિકે એ ખુબ નાની જગ્યા વાળો નિકાલ કર્યો હોવાથી પાણી નીકળી શકતું નથી. આજે સરપંચ અને આગેવાનોએ તાલુકાના અધિકારી ટીડીઓ અને મામલતદારને જાણ કરી બાદ નેશનલ હાઇવે ઓથોરીટી, ટીડીઓ, મામલતદાર ઓફિસ સ્ટાફ તેમજ વાંકાનેર સીટી પોલીસે સ્થળ નિરીક્ષણ કરી પાણીનો નિકાલ ચાલુ કરાવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે કેરાળા ગામને સતત રસ્તાનો પ્રશ્ન મૂંઝવતો રહ્યો છે. કેરાળા ગામ પાસે મચ્છુ નદીમાંથી સામાકાંઠે જવાના રસ્તાનો ભારે વાદવિવાદ થયો હતો અને આત્મવિલોપનની ધમકી સુધી આ પ્રશ્ન પહોંચ્યો હતો. તેમાં પણ તંત્રએ અને નેતાઓએ કેરાળાના ગ્રામજનોને કોળીએ ગોળ ચોંટાડવાનું કામ કરીને અત્યાર સુધી એ પ્રશ્ન પણ લતકતો રાખ્યો છે અને રાજા પેટ્રોલપંપ વાળો પ્રશ્ન પણ છેલ્લા ત્રણ વર્ષથી લટકતો છે. હાલ મચ્છુ 1 ડેમ ઓવરફલો થઇ રહ્યો છે ત્યારે જો વધુ વરસાદ આવે તો કેરાળામાં મચ્છુ નદીના પાણી ફરી વળે તો ગ્રામલોકોને વાંકાનેર તરફ આવવું મુશ્કેલ બની જશે માટે ગ્રામજનોના હિતમાં આ પેટ્રોલ પંપ પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અતિ જરૂરી છે.