શ્રાવણે શિવ દર્શનમ : મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે ભક્તિની સાથે મેળાનું મહત્વ આજે પણ અકબંધ શોભેશ્વર મંદિરનો ઇતિહાસ : આશરે 5 હજાર વર્ષ પૂર્વે યુધિષ્ઠિરની શિવ ભક્તિથી અહીં સ્વંયભુ શિવલિંગ પ્રગટ્યું અને 400 વર્ષ પૂર્વે તત્કાલીન રાજવી વાઘજી ઠાકોરે મંદિર બનાવ્યા બાદ શોભેશ્વર મંદિર તરીકે પ્રચલિત થયું મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર કાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શોભેશ્વર મંદિરે મેળો ભરાશે અને લોકો પ્રથમ મહાદેવના દર્શન કરીને મેળાની મોજ માણશે.જયારે આજે રવિવારે શોભેશ્વર મહાદેવને ફૂલોનો અદભુત શ્રુંગાર કરીને ભક્તોએ શિવ આરાધના કરી હતી. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળનાથની ભક્તિ કરવાનો સોનરી અવસર ગણાય છે.તેમાંય શ્રાવણ માસમાં શિવ દર્શનનું અનેરું મહત્વ હોય છે.બદલાતા સમયના વહેંણ વચ્ચે પણ આજે શ્રાવણ માસમાં શિવ ભક્તિનું સ્વરૂપ બદલાયું નથી.આજે પણ લોકો શ્રાવણ માસમાં શિવાલયોમાં દર્શનાર્થે ઉમટી પડે છે.ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પ્રાચીન શોભેશ્વર મંદિરે આજે પણ શ્રાવણ માસમાં શિવ ભક્તિ કરવાનું મહત્વ જળવાય રહ્યું છે.આ શોભેશ્વર મંદિરનો ઇતિહાસ આશરે 5 હજાર વર્ષ પુરાણો છ.જેમાં પાંચ હજાર વર્ષ પૂર્વે પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે નિવાસ કર્યો હતો અને તે સમયે યુધિષ્ઠિરની શિવ ભક્તિ સ્વંયભુ શિવલિગનું અહીં પ્રાગટય થયું હતું એવી લોકવાયકા છે.બાદમાં 400 વર્ષ પૂર્વે તત્કાલીન રાજવી વાઘજી ઠાકોરે જીણોદ્ધાર કર્યા બાદ આ મંદિર શોભેશ્વર મહાદેવથી જાણીતું થયું હતું.આ શિવલયની વિશેષતા એ છે કે, આ પૌરાણિક મંદિરમાં નાગદેવતાનો રાફડો છે અને હનુમાનજી, ગાયત્રી માતાજી, શીતળા માતાજી બિરાજમાન છે.શ્રાવણ માસમાં નિયમિત આરતી પૂજા અર્ચના અને બપોરે બ્રહ્મ ભોજન સહિતના કાર્યક્રમો યોજાઈ છે.આ શિવાલયનું જીજ્ઞેશગિરી બાપુના પરિવાર દ્વારા સંચાલન કરવામાં આવે છે અને ભવિષ્યમાં આ મંદિરમાં નવી ભોજન શાળા બનાવવાનો મુખ્ય પ્રોજેકટ છે. શહેરના તમામ વિસ્તરોમાં લોકો વાહનમાં કે પગપાળા આ શિવાલયમાં શિવ દર્શને શ્રાવણ માસમાં નિયમિત આવે છે.ઘણા લોકોને શોભેશ્વર દાદા ઉપર અતૂટ શ્રદ્ધા હોવાથી દર શ્રાવણ માસે દર્શન કરવાનું ક્યારેય ચૂકતા નથી.આજે પણ આખો શ્રાવણ માસ આ શિવાલયમાં મોટી સંખ્યામાં ભક્તો શિવ દર્શનનો લાભ લઈને પોતાની યથા શક્તિ પ્રમાણે ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે .આ શિવાલયમાં વર્ષોથી શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાય છે.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને મેળાની મોજ માણે છે.ત્યારે આવતીકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શોભેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાશે અને લોકો પહેલા ભગવાન શિવની આરાધના કર્યા બાદ મેળાની મોજ માંણશે.જ્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે આ શિવલયમાં મોટી સંખ્યામાં લોકો શિવ દર્શને આવે છે અને કોઈ શિવલિગ પર બીલીપત્ર કે દુગધાભીષેક કરીને ભગવાન ભોળનાથની તેમના પર કાયમ કૃપાદ્રષ્ટિ રહે તેવી પ્રાર્થના કરે છે.ત્યારે આજે ભક્તોએ શોભેશ્વર મહાદેવ મંદિરના શિવલીગને ફુલોનો શણગાર કરીને ધન્યતા અનુભવી હતી.