જામનગર સુધી પાણી મોકલવાનું હોવાથી મચ્છુ ડેમની 21 ફૂટની સપાટી સુધી પાણી ભરાશે : હાલ મચ્છુની સપાટી 8.5 ફૂટે મોરબી : મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવવામાં આવી રહ્યું છે. જો કે અગાઉ જળસંકટની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ નર્મદા નિરના અવતરણથી પાણીનો પ્રશ્ન ટળી ગયો છે. વધુમાં નર્મદા નિરને જામનગર મોકલવાનું હોવાથી મચ્છુ ડેમની 21 ફૂટની સપાટી સુધી નર્મદા નિરને ભરવામાં આવશે. મોરબીમાં અગાઉ મચ્છુ ડેમના તળિયા દેખાવા લાગતા પાણી પ્રશ્ન વિકટ બન્યો હતો. અગાઉ ડેમમા પાણીની સપાટી 7 ફૂટ સુધી હતી. અંદાજે એકાદ મહિનો ચાલે તેટલું પાણી ડેમમાં હતું. પાણીના આ સંકટને ધ્યાને લઈને મચ્છુ ડેમમાં નર્મદાનું નીર ઠાલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ નર્મદા નિરનો 15 MCFT જેટલો જથ્થો દરરોજ મચ્છુ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે. મચ્છુ ડેમમાં નર્મદા નીર 300 ક્યૂસેકના પ્રવાહે આવી રહ્યું છે. હાલ નર્મદા નિરનું અવતરણ થતા મચ્છુ ડેમમાં પાણીની સપાટી 1.5 ફૂટ વધીને 7 ફૂટે પહોંચી છે. વધુમાં જામનગરમા પણ નર્મદા નીર પહોંચાડવાની માંગણી પ્રબળ બની છે. જેને ધ્યાને રાખીને જામનગરમા નર્મદાનું પાણી પહોંચાડવા માટે મચ્છુ ડેમની પાણીની સપાટી 21 ફૂટને આંબે ત્યાં સુધી નર્મદા નીર ઠાલવવાનું ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.