મોરબી : અષાઢ મહિનાના દિવસોમાં ભરપૂર વરસાદ થતો હોય છે. દેશના વિવિધ ભાગો સહિત ગુજરાત સૌરાષ્ટ્રમાં મોટેભાગે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ઘણા વિસ્તારોમાં તો પુરી સિઝનનો વરસાદ વરસી ગયો છે ત્યારે મોરબી જિલ્લાથી મેઘરાજા રિસાયા હોય એમ હાઉકલી કરીને પછી ડોકાયા જ નથી. આથી ચિંતામાં આવી પડેલો જગતનો તાત મેઘરાજાને પધારવા વિનવણી કરી રહ્યો છે. મોરબીના લગભગ ગામોમાં મેઘરાજાને મનાવવા પ્રાથનાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે ઘુંનડા (ખાનપર) ગામે આવેલા હનુમાન મંદીરે ગ્રામજનો દ્વારા 24 કલાકની અખંડ રામધૂન કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના આકાશમાં વાદળો તો ગોરંભાય છે પણ વરસ્યા વગર આગળ નીકળી જાય છે ત્યારે કૃત્રિમ વરસાદ વરસાવવાના પ્રયોગ કરવાની પણ માંગ ઉઠી રહી છે. હવાઈ જહાજ દ્વારા ભેજ વાળા વાદળો ઉપર કેમિકલનો છંટકાવ કરીને વાદળોને વરસાવી શકાય છે. જે પદ્ધતિનો પ્રયોગ સમયસર કરીને વાવણીનો સમય સાંચવી લેવા સરકારને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. આમ સરકાર અને પ્રભુ શ્રી રામના દરબારમાં મેઘ મહેર માટે પ્રયાસો શરૂ થયા છે ત્યારે હવે જોવું રહ્યું કે જગતના તાતનો પોકાર પહેલા કોણ સાંભળે છે.