અગાઉ એકત્ર કરાયેલા ફાળામાંથી ૨૧ શહીદોના પરિવારોને તેમની ઘરે જઈને હાથોહાથ સહાય આપી હતી મોરબી : મોરબીના સેવાભાવી યુવાનો શહીદોના ઘરે રૂબરૂ જઈને તેઓને હાથોહાથ સહાય આપવાનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. જેમાં આગામી ૧૪મીથી તેઓ વધુ ૬ રાજ્યોની યાત્રાએ નીકળવાના છે. ત્યાં તેઓ ૧૭ શહીદોના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરવાની સાથે સાંત્વના પણ પાઠવવાના છે. મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયા સહિતનાએ તાજેતરમાં પુલવામાં ખાતે શહીદ થયેલા દેશના વીર જવાનોની ઘરે ઘરે જઈને તેઓના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. તેઓ દ્વારા અત્યાર સુધીમાં અનેક રાજ્યોનો પ્રવાસ ખેડીને કુલ ૨૧ શહીદોના પરિવારોને એકત્ર કફેલો ફાળો સહાય પેટે આપવામાં આવ્યો હતો. જો કે અજયભાઈ લોરીયા દ્વારા ચાલતો આ દેશસેવા યજ્ઞ હજુ યથાવત છે. આગામી તા. ૧૪ના રોજ ફરી તેઓ બીજા ૬ રાજ્યોની યાત્રાએ નીકળશે. જેમા તેઓ પંજાબના ૪, હરિયાણાના ૧, છતીસગઢના ૧, જમ્મુ કશ્મીરના ૩, હિમાચલ પ્રદેશના ૧ અને ઉત્તરપ્રદેશના ૭ શહીદોના ઘરે જઈને તેમના પરિવારને સાંત્વના પાઠવીને સહાય અર્પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અજયભાઈ લોરીયાને ફ્લેક્ષ બેનર એન્ડ પ્રિન્ટિંગ ગ્રૂપ દ્વારા ૫૫ હજાર, ગાળા ગામ દ્વારા ૭૫,૪૦૦, નાની વાવડી ગામ દ્વારા ૫૫ હજાર અને લજાઈ ગામ દ્વારા ૬૫ હજારનો ફાળો અર્પણ કરવામાં આવ્યો છે. આ ફાળો તેઓ દ્વારા શહીદોના પરિવારોને રૂબરૂ અર્પણ કરવામાં આવશે.