આદર્શ આચારસંહિતાનો ભંગ કરનાર ૧૩ સભ્યો સામે પગલા લેવા કલેકટરને રજુઆત મોરબી : મોરબી તાલુકાની મહેન્દ્રનગર ગ્રામપંચાયતે બેઠક બોલાવી બજેટને મંજુર કરાવીને આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં આચારસંહિતાનો ભંગ કરનાર ૧૩ સભ્યો સામે પગલા ભરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હરેશભાઇ રાજાભાઈ પરમારે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે લોકસભાની ચૂંટણી સંદર્ભે આચારસંહિતા અમલમાં મુકાઈ ગઈ છે. ત્યારે ગ્રામપંચાયત આચારસંહિતાના કારણે કોઇ પણ બેઠક કે બજેટ બહાર પાડી શકે નહીં. તેમ છતાં મહેન્દ્રનગર ગ્રામપંચાયતે એજન્ડા સાથે બેઠક બોલાવી બજેટને બહાલી આપીને આચારસંહિતાનો ભંગ કર્યો છે. વધુમા તેઓએ આચારસંહિતાનો ભંગ કરનાર સભ્યો સામે પગલા લેવાની માંગ ઉઠાવી છે. ત્યારે આ મામલે એ.આર.ઓ. ડે. કલેકટર ખાચરે જણાવ્યું કે મહેન્દ્રનગર ગ્રામપંચાયત દ્વારા આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ મળી હતી. જેના પગલે હાથ ધરાયેલ તપાસમાં જાણવા મળ્યું હતું કે ગ્રામપંચાયતે આચારસંહિતાના અમલ પૂર્વે જ એજન્ડા બહાર પાડ્યો હતો. બાદમાં બેઠક તો બોલાવી હતી પણ તેઓએ આચારસંહિતાને ધ્યાને લઈને કોઈ નિર્ણય લીધા ન હતા. આમ ગ્રામપંચાયત દ્વારા આચારસંહિતાનો ભંગ ન થયો હોવાનું તપાસમાં ખુલ્યુ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en