મજૂરીના હક્ક હિસ્સા મામલે સીરામીક કંપની સામે 18 દિવસથી 8 મજૂરો ભૂખ હડતાલ કરતા હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા રોષ મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલ સીરામીક કંપનીમાં મજુરીના હક્ક હિસ્સા માટે યોગ્ય ન્યાય મેળવવા 8 મજુરો છેલ્લા18 દિવસથી ભૂખ હડતાલ કરી રહ્યા છે.તેમ છતાં તંત્ર ધ્યાન ન આપતા ઉપવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.દરમ્યાન ગઈકાલે બે મજૂરોની તબિયત લથડતા બન્નેને હોસ્પિટલમાં ખસેડાયા છે. મોરબીના લીલાપર ગામે આવેલ લિવેન્ટ સીરામીક કંપની સામે મજૂરીના પ્રશ્ને ન્યાય મેળવવા માટે ગતતા 17 ફ્રેબ્રુઆરીથી 8 મજુરોએ ભૂખ હડતાલ શરૂ કરી હતી.આ મજૂરોના જણાવ્યા મુજબ અગાઉ તેઓ આ સીરામીક કંપનીમાં મજુરી કામ કરીને રોજીરોટી મેળવતા હતા.તે દરમિયાન તેમણે આ સીરામીક કંપની સામે મજૂરીના મળવાપાત્ર હક્ક હિસ્સા મામલે અવાજ ઉઠાવતા તેમને કારખાનામાંથી હાંકી કાઢ્યા હતા.આથી આ મજૂરોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.તેથી આ આઠેય મજૂરો આ બાબતે યોગ્ય ન્યાય મેળવવા માટે ભૂખ હડતાલ પર બેઠા છે. આ રીતે 18 દિવસથી આંદોલન ચલાવતા હોવા છતાં તંત્રે કોઈ ધ્યાન ન આપતા ઉપવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.દરમ્યાન ભૂખ હડતાલ પર બેઠેલા બે મજૂરો અમૃતલાલ અરજણભાઈ રાઠોડ અને નરેન્દ્રભાઈ કેશુભાઈ રાઠોડની ગતરાતે તબિયત લથડતા બન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en