ઉત્તરાયણ પર્વે પતંગના ધારદાર દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર મળે તે માટે વિવિધ સ્થળોએ સારવાર કેન્દ્રો ઉભા કરાયા મોરબી : મોરબીમાં ઉત્તરાયણ પર્વે પતંગના ધારદાર દોરાથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મંગલમય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન આગામી ૨૦મી સુધી ચાલશે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. મોરબી છેલ્લા એક વર્ષથી બિનવારસી રખડતાં અબોલ ઢોર માટે અને પક્ષીઓ માટે એનિમલ હેલ્પ લાઇન અને બર્ડ શેલ્ટર મંગલમય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેમાં છેલ્લા એક વર્ષમાં ૯૮ ગાય, ૨૯૪ પક્ષી , ૪૬૯ કૂતરા અને અન્ય ૪૩ એમ કુલ ૯૦૪ જેટલા ઘવાયેલા પશુ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી નવી ઝીંદગી બક્ષેલ છે. આ માટે ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.ઘનશ્યામભાઈ ગામી, મૂળજીભાઈ લિખિયા ડો.વિકાસ લિખિયા, શ્રેયશભાઈ પટેલ તેમજ સ્વંયમ સેવક એવા કૃણાલભાઈ, લાખાભાઈ,શનિ પટેલ, ગોવિંદભાઈ,ગૌતમભાઈ વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી અમૂલ્ય પ્રાણી ધન બચાવી રહ્યા છે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ થી તા.૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર 7016257070 સતત ખડેપગે અને કાર્યરત રહેશે. દરવર્ષે ચીની માંઝા વાળા દોરાના કારણે અસંખ્ય પક્ષીઓ ઘવાય છે અને આપણે અબોલ જીવોના મૃત્યુનું કારણ બનીએ છીએ તો મકરસંક્રાંતિના દિવસે આપણે પતંગ ચગાવવાના ઉત્સાહમાં ધ્યાન રાખીએ કે પતંગથી કોઈ પક્ષી ઇજાગ્રસ્ત ન થાય અને જો કદાચ ઇજાગ્રસ્ત થાય તો તરત જ પક્ષીઓને બચાવવા માટે એનિમલ હેલ્પલાઈનનો કોન્ટેક કરવામાં આવે માટે મોરબીમાં વિવિધ સ્થળોએ સારવાર માટેના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આવી ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિના ખર્ચને પહોંચી વળવા માટે દાન એકત્ર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે તો આવી સેવાકીય પ્રવૃત્તિને આર્થિક રીતે મદદરૂપ થવાની અપીલ આયોજકો તરફથી કરવામાં આવી છે તો આવો મકરસંક્રાંતિના પવિત્ર પુણ્ય તહેવાર નિમિતે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે યથાશક્તિ મદદરૂપ થઈ અબોલ જીવોને બચાવવામાં યશભાગી બનવાની અપીલ કરાઈ છે.