મોરબી જિલ્લાની અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ : જિલ્લા કલેકટર મોરબી : દુષ્કાળ અછતગ્રસ્ત મોરબી જિલ્લામાં ખેડૂતોને સહાય માટેની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે અને ઘાસચારાનો જરૂરી જથ્થો પણ આવી ગયો હોવાનું જિલ્લા કલેકટર માકડીયાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું. અછતગ્રસ્ત મોરબી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા બાદ આજરોજ જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજી તમામ જાણકારી આપી હતી. જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ખેડૂતોને ૨૦૦ ગુઠાની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે જેમાં મોરબી તાલુકામાં દરેક ખેડૂતને ૧૨૬૦૦ અને ટંકારા તાલુકામા ૧૧૬૦૦ ચુકવવામાં આવશે હાલમાં ખેડૂતોના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણતાના આરે છે જે આગામી 31 તારીખ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. વધુમાં જિલ્લા કલેકટર માકડીયાએ ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં મનરેગા હેઠળ તમામ નોંધાયેલ લોકોને રોજગારી પુરી પાડવામાં આવશે અને હાલમાં જિલ્લામાં ૫ કરોડને બદલે સરકાર દ્વારા બે કરોડ વધારાના મંજુર કરવામાં આવ્યા છે અને રોજગારીના પ્રશ્ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય લોકોને રોજગાર માટે તલાટી મંત્રીનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો. વધુમાં મોરબી જિલ્લામાં અછતગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોને રાહતદરે ઘાસ વિતરણ માટે જરૂરી ઘાસનો જથ્થો પણ મંગાવી લેવામાં આવ્યો હોવાનું ઉમેરી ગૌશાળા માટે પણ ઘાસ ઉપલબ્ધ હોવાનું અને માંગણી આવ્યે તુરત જ ઘાસ વિતરણ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. આમ, મોરબી જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિમાં પાણી, ઘાસચારો અને રોજગાર માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું. [gallery ids='41527,41529']