મધ્યપ્રદેશના ઉદ્યોગ વિભાગના અધિકારી મોરબીની મુલાકાતે મોરબી : આગામી તા. ૨૮ ના રોજ યોજાનાર મધ્યપ્રદેશ સામાન્ય ચૂંટણીને પગલે મોરબીમાં વસતા શ્રમિકોને મતદાન કરવા માટે રજા આપવા મધ્યપ્રદેશ રાજયના ઉધોગ વિભાગના અધિકારી શ્યામ શર્મા મોરબીની મુલાકાતે આવ્યા હતા અને શ્રમિકોને સવેતન રજા આપવા અપીલ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ઝામ્બુઆ જિલ્લાના જિલ્લા કલેકટર દ્રારા મધ્યપ્રદેશના ઝામ્બુઆ જિલ્લાના મતદારોને તા.૨૮-૧૧-૨૦૧૮ ના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે મધ્યપ્રદેશ રાજયના ઉધોગ વિભાગના અધિકારી શ્યામ શર્મા સહિત કુલ ૬ વ્યક્તિની ટીમ મોરબી જિલ્લાની મુલાકાતે આવી હતી અને આ સંદર્ભે બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે મોરબીના સીરામીક એકમોમાં એમ.પી.ના શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરતા હોય મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયા દ્રારા સીરામીક એસોસીયેશનના હોદેદારો તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારીઓને સાથે રાખી મધ્યપ્રદેશ રાજ્યના શ્રમિકો કે જે મધ્યપ્રદેશ રાજયના મતદારો છે અને મોરબી જિલ્લામાં મજુરી અર્થે આવેલા છે તેઓને તા.૨૮-૧૧-૨૦૧૮ ના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા સવેતન રજા આપવામાં આવે તેવુ સિરામિક એસોસીએસનના હોદેદારોને અપીલ કરવામાં આવી હતી.