કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી : ગઈકાલે બાઈકસવાર ખાડામાં ખાબકયો 'તો છતાં પણ કોઈ પગલાં ન લેવાતા બીજી દુર્ઘટના ઘટી વાંકાનેર : વાંકાનેરમાં ચાલી રહેલ રેલવે ટ્રેકના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ઘોર બેદરકારી દાખવીને સુરક્ષાને નેવે મૂકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રેલવે ટ્રેકના કામ માટે કરેલા ખાડામાં ગઈકાલે બાઈકસવાર ખાબક્યો હતો. ત્યારે આજે ફરી એક ગાય ખાબકી હોવાનું સામે આવ્યું છે. વાંકાનેરમા નેશનલ હાઇવે પર હાલ રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાથી લોકોની જિંદગી જોખમાઈ છે. રેલવે ટ્રેકના કામ માટે અહીં મસ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ ખાડામાં કામ ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાકટરે આ ખાડા ફરતે કોઈ પણ જાતની આડસ રાખી ન હોવાથી ગઈકાલે એક બાઈક સવાર તેમાં ખાબક્યો હતો. આ બનાવમાં બાઈક સવાર ઇજાગ્રસ્ત પણ થયો હતો. ગઈકાલે આ દુર્ઘટના ઘટી હતી. તેમ છતાં કોન્ટ્રાકટરે પોતાની ભૂલ સુધારી ન હોવાથી આ ખાડામા આજે એક ગાય ખાબકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે કોન્ટ્રાકટર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લીધે જ બેદરકારીથી કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ ઉઠી છે.