મૂળ ટંકારાના વાઘગઢ ગામના યુવાનને સારવાર કારગત ન નીવડી મોરબી : સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે અને રોજે રોજ સ્વાઇન ફ્લૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં સ્વાઇન ફલૂને કારણે મૃત્યુનો પ્રથમ કિસ્સો નોંધાયો છે જેમાં મોરબીના ઉમિયાનગરમા રહેતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કાળા કહેર વચ્ચે મોરબી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટંકારા અને મોરબીના બે કિસ્સા બહાર આવતા બંને દર્દીઓને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં મોરબીના આશાસ્પદ યુવાનનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુમાં મૂળ વાઘપરના મહેન્દ્રભાઈ પોપટભાઈ બારૈયા ઉ.34 ને ગત અઠવાડિયે સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓએ અંતિમ શ્વાસ લેતા સ્વાઇન ફ્લુને કારણે ચાલુ સિઝનમાં મૃત્યુનો પ્રથમ કિસ્સો નોંધાયો છે, મૃતક મહેન્દ્રભાઈ બારૈયા સિરામિક ટ્રેડિંગનો વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું છે.