હળવદમાં નાની સિંચાઈમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે જળ સંપતિની ટીમ ઘનશ્યામપુર દોડી આવી : માનસર અને ઘનશ્યામપુર ગામે થયેલ તળાવોના કામોની તટસ્થ તપાસ શરૂ : અહેવાલ ગાંધીનગર મોકલાયા હળવદ : મોરબી જિલ્લામાં નાની સિંચાઈમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ ગાંધીનગરની ટીમે મોરબી જિલ્લામાં સ્થળ તપાસ શરુ કરી છે. જેમાં ગાંધીનગરના જળ સંપતિના અધિકારીઓ મોરબી સહિત હળવદ તાલુકાના માનસર, ઘનશ્યામપુરના ગામ દોડી આવ્યા હતા અને ગામના તળાવમાં નાની સિંચાઈ હેઠળ થયેલ કામોની તપાસ આદરી વધુ અહેવાલ ઉચ્ચકક્ષાએ મોકલ્યા બાદ વધુ વિગતો બહાર આવે તેમ જણાવ્યું હતું. મોરબી, હળવદ પંથકમાં આચરાયેલ નાની સિંચાઈના કામોમાં થયેલ ભ્રષ્ટાચારમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હોવાની ચર્ચાઓ ચોરેને ચોટે ચર્ચાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રીના આદેશથી તપાસ અર્થે આવેલી ટીમ શું આવા નેતાઓ સુધી પહોંચશે ખરી ? તેમ સહિતના અનેક સવાલો હાલ ગામેગામ ઉદભવ્યા છે. જાકે આ સમગ્ર કૌભાંડ મામલે હળવદના માનસર અને ઘનશ્યામપુર ગામે આવેલ ગાંધીનગરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થતા કેટલાક કૌભાંડી તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી અને હળવદ પંથકમાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવોને ઉંડા ઉતારવા, ખેત તલાવડા બનાવવા જેવા કામો માટે પ.૮૩ કરોડ ફાળવાયા હતા પરંતુ આવા કામો કરવાના બદલે બારોબાર કરોડો રૂપિયા હજમ કરી લેવાતા આ મામલે પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડીયા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ હતી જેમાં જણાવ્યું હતું કે, નાની સિંચાઈ યોજના હેઠળ થયેલ કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાયો છે જેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવો પત્ર પાઠવાયો હતો.