ટંકારા શહેર - તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું ટંકારા : ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની તંગી સર્જાવાની દહેશત વચ્ચે ટંકારા પંથકના ખેડૂતોના ઉભા મોલ મુરઝાઈ રહ્યા હોય તાકીદે સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી આપવા ટંકારા શહેર - તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા માંગણી ઉઠાવી ખેડૂતો આત્મહત્યા કરે તે પૂર્વે પાણી આપવા માર્મિક ટકોર કરવામાં આવી હતી. ટંકારા શહેર અને તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના ગૌતમભાઈ વામજાની આગેવાની હેઠળ આજે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતો દ્વારા સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સૌની યોજનની લિંક મારફતે ટંકારા પંથકના ખેડૂતોને પાણી આપવા માંગ કરી હતી. રજુઆતમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વધુમાં જણાવાયું હતું કે વરસાદ ખેંચતા ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે અને આગામી બે ચાર દિવસમાં જો સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં નહિ આવે તો ખેડુતો ને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ હોય સરકાર તાકીદે નિર્ણય લઈ ખેડૂતોના હિતમાં ટંકારા પંથકમાં સિંચાઈ માટે પાણી આપે તેવી માંગ દોહરાવી હતી.