અનેક જગ્યાએ સબીલો નાખીને ઠંડા પીણાનું વિતરણ : ૧૧ કલાત્મક તાજીયા બનાવવાનું કામ પુરજોશમાં મોરબી : મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર મહોરમ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સબીલા નાખીને પાણી, સરબત, નાસ્તા સહિતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મહોરમ નિમિતે નિકળનાર તાજીયા ઝુલુસની તૈયારીઓ માટે ઘણા વિસ્તારોમાં ૧૧ કલાત્મક તાજીયા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે મોરબીના મુખ્ય માર્ગો પર અને દરેક વિસ્તારોમાં સબીલોના આયોજન કરવામાં આવ્યા છે. શહેરના પરાબજાર પાસે ભડિયાદ કાંટે જવાના રીક્ષાસ્ટેન્ડે હિન્દૂ મુસ્લિમ રિક્ષાચાલકો દરરોજ ઠંડુ પાણી, સરબત સહિતના ઠંડા પીણાનું વિતરણ કરે છે. તે જ રીતે નહેરુ ગેઇટ ચોકમાં હિન્દૂ મુસ્લિમ કમિટી દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી સબીલનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ હિન્દૂ મુસ્લિમ ભાઈઓ તેમજ મહિલાઓ પાણી, સરબત તથા નાસ્તાનું વિતરણ કરે છે. આ ઉપરાંત શહેરના ઘણા ખરા વિસ્તારોમાં સબીલ નાખવામાં આવે છે. મોહરમ પર્વના અનુસંધાને આવતીકાલે ગુરુવારે રાત્રે તાજીયા પડમાં આવશે અને શુક્રવારે ટાઢા થશે. તેથી તાજીયા ઝુલુસની તૈયારીના ભાગરૂપે કાલિકા પ્લોટ, ખાટકીવાસ, નેહરુગેઇટ ચોક, નાયકવાસ, સિપાઈવાસ, લખધીરવાસ સહિતના વિસ્તારોમાં ૧૧ કલાત્મક તાજીયા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='32332,32334,32338,32339,32340,32336,32337']