અગાઉ આ વિજપોલ એક વિદ્યાર્થીનો ભોગ લઈ ચુક્યા છે : તાકીદે વિજપોલ હટાવવાની માંગ હળવદ : હળવદના ઘનશ્યામપુર રોડ પર પીજીવીસીએલ દ્વારા રોડની સાઈડમાં જ જયોતિગ્રામના વીજપોલ ઉભા કરી દેવાતા વાહન ચાલકો માટે મોતના વીજપોલ સાબિત થયા છે. ત્યારે વીજપોલને રોડની સાઈડથી થોડાક અંતરે ઉભા કરવામાં આવે તેવી ઘનશ્યામપુર, ભલગામડા, સાપકડા, પલાસણ, દીઘડીયા સહિતના ગામના લોકોએ માંગ કરાઈ છે. હળવદથી સરા જવાના રોડ પર પીજીવીસીએલ દ્વારા રોડની સાઈડમાં જ જયોતિગ્રામની લાઈનના વીજપોલ ઉભા કરી દેવાતા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થયો છે. તાજેતરમાં જ પલાસણના વિદ્યાર્થી સદ્ભાવના શાળાએથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ઘનશ્યામપુર રોડની પાસે આવેલ વીજપોલના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિદ્યાર્થીને જીવ ગુમાવવો પડયો હતો. ત્યારે રસ્તા પર અનેક શૈક્ષણિક સંકુલો આવેલી હોય જેને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીંથી અવર-જવર કરતા હોય છે ત્યારે આ વીજપોલને કારણે અન્ય કોઈનો ભોગ ન લેવાય તે જરૂરી બની રહે છે. આ બાબતની રજુઆત કરી હોવા છતાં પણ વીજપોલ ઉભા કરી હાલ તાર ખેંચવાની કામગીરી પણ આરંભી દેવાઈ છે. ત્યારે વીજપોલને રસ્તાના થોડાક અંતરે મુકવામાં આવે તો મહંદઅંશે અકસ્માતોના બનાવો અટકી શકે તેમ છે. હાલ પરિસ્થિતિ એવી છે મોટર સાયકલ કે અન્ય વાહન સ્લીપ મારી જાય અને જો વીજપોલ સાથે અથડાય તો અકસ્માત જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે.