હળવદ : હળવદના ગોકુળિયા ગામે સહજાનંદ ગૌશાળામાં ૧૧ દિવસની સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન ચાલી રહી છે. દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટી પડીને ધર્મલાભ લે છે. આગામી તા. ૨૧ના રોજ ધુનની પુર્ણાહુતી થશે. હળવદ તાલુકાના ગોકુળિયા ગામે આવેલ સહજાનંદ ગૌશાળા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે ગત તા. ૧૦ થી સ્વામિનારાયણ મહામંત્રની ૧૧ દિવસની અખંડ ધુનનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ચાલી રહેલ આ અખંડ ધૂનમાં દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો પધારીને ધર્મલાભ ગ્રહણ કરે છે. મહિલા ભક્તો માટે સવારે ૮થી સાંજે ૫ વાગ્યા સુધી અને પુરુષ ભક્તો માટે સાંજે ૮થી સવારે ૫ વાગ્યા સુધીનો સમયરાખવામાં આવ્યો છે. બાકીના સમયે સ્થાનક ભક્તો ધૂનનો લાભ લેશે. ધૂનમાં આવતા ભક્તો માટે સવાર, બપોર અને સાંજ ભોજન પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ધૂનના સમય પત્રક પ્રમાણે તા. ૧૮એ નવા ઘાટીલા- ચરાડવા , તા. ૧૯એ ટીકર- નવા ટીકર અને તા. ૨૦એ ગોકુળિયા- હડબટીયારી રહેશે. સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધુનની પુર્ણાહુતી આગામી તા. ૨૧ના રોજ ૯ કલાકે થશે. બાદમાં ૧૧ કલાકે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.