એલીગન્સનું ગોડાઉન સીલ કર્યા બાદ કડીયાણાની રાશન સમિતિ સીલ કરાઈ ઃ મોરબી પુરવઠા ટીમના ત્રણ દિવસથી હળવદમાં ધામા હળવદ : હળવદના એલીગન્સ ફુડ ફેકટરીમાંથી ગત મંગળવારે ઝડપાયેલ અનાજ કૌભાંડ બાદ પંથકમાં કૌભાંડની તપાસનો દોર યથાવત રહ્યો છે ત્યારે ગત રાત્રીના ઈશનપુર ગામે રેશનીંગ દુકાનને સીઝ કરાયા બાદ વધુ એક કૌભાંડમાં આજે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તાલુકાના કડીયાણા ગામે આવેલ રાશનની દુકાનમાં તપાસ કરતા હિસાબોના આંકડામાં ફેરફાર જણાઈ આવ્યા હતા અને અગાઉ સીલ થયેલ રેશનીંગ દુકાનને આજે પુનઃ વધુ તપાસ બાદ સીલ કરાતા કાળા બજારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગરીબોના ઘરે પહોંચતું રાશનની દુકાનનો અનાજ સગેવગે કરવાના મામલે આજે હળવદમાં મોરબી પુરવઠા વિભાગે ધામા નાખ્યા છે ત્યારે તાલુકાના કડીયાણા ગામે આજે ર વાગ્યાના અરસાથી સતત રાત્રીના ૯ વાગ્યા સુધી સઘન તપાસ કરતા હિસાબોના આંકડામાં વિરોધાભાસ જણાઈ આવતા કડીયાણાની રાશનની દુકાનમાં રહેલ ૧પ૬ બોરી ઘઉં, ૭૬ બોરી ચોખા, ૬ બોરી ખાંડ તેમજ પ૦ લીટર કેરોસીન સહિત રાશનની દુકાનને સીલ મારી દેવાયું છે. વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ, મામલતદાર વી.કે.સોલંકી દ્વારા આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાથ ધરી કાળા બજારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.