માળીયા શહેરના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત, તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ માળીયા : માળીયા તાલુકામાં નહિવત વરસાદ પડ્યો હોવાથી તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે માળીયા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આ સાથે માળીયાના વિવિધ પ્રશ્નો અંગે પણ રજુઆત કરી હતી. માળીયા કોંગ્રેસ સમિતિએ મામલતદારને રજુઆતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માળીયા તાલુકામાં નહિવત વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષફળ ગયો છે. પશુધન માટેના ઘાસચારાની પણ ગંભીર અછત ઉભી થઇ છે. હાલ ગામના તળાવો પણ ખાલીખમ હોવાથી પાણી પ્રશ્ન વિકટ બન્યો છે. જેથી માળીયા તાલુકાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ઉભા મોલ ધોવાઇ ગયા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ૧૦૦ ટકા પાક નિષફળ ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી પાક ધિરાણ લોનના પ્રીમિયમ ભરતા ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો મળી રહે તેમજ અન્ય ખેડૂતોને પાક ધોવાણ અને જમીન ધોવાણની રકમ તાત્કાલિક મળી રહે તેવો પ્રબંધ કરવામાં આવે. આ ઉપરાંત અતિવૃષ્ટિમાં સ્થાનિક લોકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે ચુકવવાની કેશ ડોલ્સની રકમ મળવામાં પણ હજુ ૩૦ ટકા જેટલા લોકો બાકી રહી ગયા છે. હજુ પણ કેશડોલ્સની રકમના અનેક ચેક મામલતદાર કચેરીએ ધૂળ ખાઈ રહ્યા છે. વધુમાં જણાવ્યું કે ભૂકંપને વર્ષો વીતી ગયા બાદ પણ માળિયામાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી. ઉપરાંત વોર્ડ નં. ૧, ૨ અને ૪ના સિમ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને વીજ કનેક્શન ફાળવવામાં આવ્યું નથી. આ સાથે સરકારી હોસ્પિટલમાં ૪ ડોકટરનજ જગ્યાઓ છેલ્લા દોઢ વર્ષથી ખાલી પડેલી છે. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.