હળવદ માલધારી સમાજના યુવાનો દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર તાજેતરમાં રાજયના મહેસાણા જિલ્લાના નંદાસણ પાસે આવેલ ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઈ રબારીની કસાઈઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના યુવાનની પણ હત્યા કરાઈ હતી. સાથે જ વડોદરાના ધારાસભ્ય શ્રીમધુ વાસ્તવએ માલધારીઓ વિશે કરેલ વિવાદીત ટીપ્પણી મામલે આજરોજ હળવદ માલધારી સમાજના યુવાનો દ્વારા આવેદન પત્ર પાઠવી બન્ને હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે અને ધારાસભ્ય શ્રીમધુ વાસ્તવએ માલધારી સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરાઈ હતી. મહેસાણા જિલ્લાના નંદાસણ ગામ પાસે આવેલ ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઈ રબારીની તા.રપ/૭ના રોજ કસાઈઓ દ્વારા નિર્મમ હત્યા કરી દેવાતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. જયારે બીજા બનાવમાં તા.૩૧/૭ના રોજ સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના ભરતભાઈ મુંધવાની હત્યા થતા માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. તેમજ વડોદરાના ધારાસભ્ય શ્રીમધુ વાસ્તવએ માલધારી સમાજ વિશે કરેલ અભદ્ર ટિપ્પણીથી માલધારી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્યારે આજે ઉપરોકત બન્ને હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ શ્રીમધુ વાસ્તવ માલધારી સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે આજરોજ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રોષ સાથે રજૂઆત કરાઈ હતી.