અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચાર ગૌવંશ પર એસીડ વડે હુમલો કરાતા ગૌપ્રેમીઓમાં અરેરાટી સાથે રોષ ભભૂકી ઉઠયો છે. સાથે જ ગૌપ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે કે, પોલીસ આવા અસામાજિક તત્વો સામે યોગ્ય પગલા ભરી કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. હળવદ શહેરના ગ્રામ્ય પંથકના છાશવારે અગાઉ પશુઓ પરના હુમલાઓનો ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ તાલુકા વેગડવાવ ગામે ગૌવંશ પર એસીડ ફેંકવાનો બનાવ તાજા જ છે ત્યારે વધુ એક એસીડ ફેંકવાનો બનાવ તાલુકાના રાણેકપર ગામે પ્રકાશમાં આવ્યો છે. રાણેકપર ગામે ચાર ખુટીયા પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રીના સમયે એસીડ ફેંકતા ગૌવંશની ચામડી ખદબદી ઉઠી છે. ઈજાથી કણસતા ગૌવંશને ગૌપ્રેમીઓ દ્વારા જરૂરી સારવાર આપી એસીડ ફેંકનાર અજાણ્યા શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરે તો તાલુકામાં ગૌવંશ પર થતા હુમલાના બનાવો અટકી શકે તેમ હોવાનું ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પંથકમાં છાશવારે આ બનાવો પ્રકાશમાં આવતો હોય છે ત્યારે હુમલો કરનાર શખ્સો સામે પગલા ભરાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.