તસ્કરો ૪૫ હજાર રોકડા અને ત્રણ તોલા દાગીનાની ચોરી કરી ગયા મોરબી : મોરબીના પીપળી ગામે ગઈકાલે તસ્કરોએ હાહાકાર મચાવી એક સાથે પાંચ - પાંચ મકાનોમાં ત્રાટકી રૂપિયા ૪૫ હજાર રોકડા અને ત્રણ તોલા સોનાના દાગીના સહિતની માલમતા ઉઠાવી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, જો કે આ બનાવમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે ગત રાત્રીના તસ્કરોએ હાહાકાર મચાવી એક સાથે પાંચ મકાનને નિશાન બનાવી ઘરધણીને સુતા રાખી નિરાંતે હાથ ફેરો કર્યો હતો જેમાં જયેશભાઇ જેન્તીભાઈ રાણીપાના મકાનમાંથી ત્રણ તોલાનો ચેન અને છ હજાર રોકડા, હિરેનભાઈ કાલરીયાના મકાનમાંથી ૨૪ હજાર રોકડા અને અર્જુનભાઇ માલવીના મકાનમાંથી તસ્કરોએ ૧૫ હજાર રોકડની ચોરી કરી હતી. જ્યારે બહાર ગામ ગયેલા સુરેશભાઈ અને મહેશભાઈ ચૌધરીના મકાનમાંથી તસ્કરોને કાઈ હાથ લાગ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ ચોરી મામલે હજુ સુધી કઈ ફરિયાદ નોંધાઇ નથી. બીજી તરફ પીપળીના વૃંદાવન પાર્કમાં અવાર નવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય રહેવાસીઓ દ્વારા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગણી ઉઠવાઈ હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='28312,28309,28305,28301,28300,28304']